Site icon Revoi.in

પીએફઆઈ ખતરનાક સંગઠન હોવાની સાથે ગેરકાયદે પ્રવૃતિઓ ચલાવતુ હતું : કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ વિભાગે ઈસ્લામિક સંગઠન પીએફઆઈ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ આ સંગઠન સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી એનઆઈએના રિપોર્ટ બાદ કરવામાં આવી છે. પીએફઆઈ એક ખતરનાક સંગઠન છે. આ સંગઠન અનેક ગેરકાયદે પ્રવૃતિઓ ચલાવી રહ્યું છે. જેથી તેની ઉપર પ્રતિબંધ લગાવવો જરૂરી છે.

અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, પીએફઆઈ ઉપર પ્રતિબંધ ફરમાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારુ છું.ભારતની વિરુદ્ધ વિભાજનકારી તથા વિઘટનકારી ડિઝાઈન સામે આકરી કાર્યવાહી કરીને કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે, દેશમાં વિરોધી પ્રવૃતિઓને ચલાવી લેવામાં આવશે નહીં.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે જણાવ્યું હતું કે, દેશના અનેક રાજ્યોમાં પીએફઆઈ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ આચરવામાં આવી છે. આ સંગઠને ફેલાવેલી હિંસાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.

પીઆઈએફ ઉપર પાંચ વર્ષના પ્રતિબંધ બાદ શાહીનબાગ વિસ્તારમાં અર્ઘ લશ્કરી દળને તૈનાત કરવામાં આવી છે. તેમજ સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ડ્રોનની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે. પીએફઆઈ ઉપર પ્રતિબંધથી નારાજ કાર્યકરો રસ્તા ઉપર ના ઉતરી આવે તે માટે પોલીસ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પીએફઆઈ ઉપર પ્રતિબંધના નિર્ણયને અનેક રાજકીય નેતાઓએ આવકાર્યો છે.