દિલ્હી – પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત @2047: વોઈસ ઑફ યુથ’નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આ પહેલની શરૂઆત કરવા માટે દેશભરમાં રાજભવનોમાં આયોજિત કાર્યશાળાઓમાં વિશ્વવિદ્યાલયોના ઉપકુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધન કર્યું હતું.
પોતાના સંબોધનની શરૂઆત વિક્સિત ભારતના વિકાસ માટે આજની કાર્યશાળાના આયોજન માટે તમામ રાજ્યપાલોનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે, આજનો દિવસ આ સંકલ્પને લગતો વિશેષ અવસર છે. તેમણે વિકસિત ભારત 2047નાં લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં દેશનાં યુવાનોને માર્ગદર્શન આપવાની જવાબદારી ધરાવતાં તમામ હિતધારકોને એકમંચ પર લાવવાનાં તેમનાં યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર તેના લોકોના વિકાસથી જ વિકસિત થાય છે. વર્તમાન યુગમાં વ્યક્તિત્વ વિકાસનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ વોઈસ ઑફ યુથ વર્કશોપની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોડી એ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ દેશનાં જીવનમાં ઇતિહાસ એક એવો સમયગાળો પ્રદાન કરે છે, જ્યારે દેશ તેની વિકાસલક્ષી સફરમાં હરણફાળ ભરી શકે છે. ભારત માટે, “આ અમૃત કાળ ચાલુ છે” અને “ભારતના ઇતિહાસનો આ સમયગાળો છે જ્યારે દેશ મોટી છલાંગ લગાવવા જઈ રહ્યો છે”.
તેમણે નજીકના ઘણા દેશોના ઉદાહરણો આપ્યા કે જેમણે નિર્ધારિત સમયમર્યાદામાં આટલો મોટો કૂદકો લગાવ્યો અને વિકસિત રાષ્ટ્રોમાં ફેરવાઈ ગયા. તેમણે કહ્યું હતું કે, “ભારત માટે આ સમય, યોગ્ય સમય છે (યહી સમય હૈ, સહી સમય હૈ)” તેમણે ઉમેર્યું હતું કે, આ અમૃત કાળની દરેક પળનો ઉપયોગ થવો જોઈએ.
દેશની રાષ્ટ્રીય યોજનાઓ, પ્રાથમિકતાઓ અને લક્ષ્યાંકોની રચનામાં દેશના યુવાનોને સક્રિયપણે સામેલ કરવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ ‘વિકસિત ભારત @2047: વોઇસ ઓફ યુથ’ પહેલ દેશના યુવાનોને વિકસિત ભારત @2047ના વિઝનમાં વિચારોનું પ્રદાન કરવા માટે એક મંચ પ્રદાન કરશે. આ કાર્યશાળાઓ વિકસિત ભારત @2047 માટે યુવાનોને તેમના વિચારો અને સૂચનો વહેંચવા માટે સંલગ્ન કરવાની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.
પ્રધાનમંત્રીએ પ્રેરણાના સ્ત્રોત તરીકે સ્વતંત્રતા માટેના ગૌરવશાળી સંઘર્ષનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સત્યાગ્રહ, ક્રાંતિકારી માર્ગ, અસહકાર, સ્વદેશી અને સામાજિક અને શૈક્ષણિક સુધારા જેવા દરેક પ્રયાસો એ સમય દરમિયાન સ્વતંત્રતા તરફ મંડાયેલા છે. આ સમયગાળામાં કાશી, લખનઉ, વિશ્વ ભારતી, ગુજરાત વિદ્યાપીઠ, નાગપુર યુનિવર્સિટી, અન્નામલાઈ, આંધ્ર અને કેરળ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓએ દેશની ચેતનાને મજબૂત કરી હતી. રાષ્ટ્રની સ્વતંત્રતાને સમર્પિત યુવાનોની એક આખી પેઢી અસ્તિત્વમાં આવી, જેનો દરેક પ્રયાસ સ્વતંત્રતાના લક્ષ્ય તરફ દોરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે, દરેક સંસ્થા અને દરેક વ્યક્તિએ એક સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ કે દરેક પ્રયાસ અને કાર્ય વિક્સિત ભારત માટે હશે. તમારા લક્ષ્યાંકો, તમારા સંકલ્પોનો ઉદ્દેશ માત્ર એક જ હોવો જોઈએ – વિકસિત ભારત” . પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષકો અને યુનિવર્સિટીઓ ભારતને ઝડપથી વિકસિત દેશ બનાવવાનાં માર્ગો શોધવા પર વિચાર કરે છે તથા વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં સુધારા માટે ચોક્કસ ક્ષેત્રોની ઓળખ પણ કરે છે.
આ સાથે જ પીએમ મોદીએ ‘વિકસિત ભારત’નાં સામાન્ય લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દરેક યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ અને યુવાનોની ઊર્જાનો સંચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિચારોની વિવિધતાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે તમામ પ્રવાહોને જોડવા પર ભાર મૂક્યો હતો
પીએમ મોદી એ દરેકને વિકસીત Bharat@2047 વિઝનમાં પ્રદાન કરવા માટે પોતાની મર્યાદાથી આગળ વધવા અપીલ કરી હતી. વધુમાં વધુ યુવાનોને આ અભિયાન સાથે જોડવા માટે દેશની દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં ખાસ ઝુંબેશ ચલાવવાનું સૂચન તેમણે કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “વિચારની શરૂઆત ‘હું’થી થાય છે, જેવી રીતે ભારતની શરૂઆત ‘હું’થી થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસનો વિચાર માત્ર ‘હું’થી જ શરૂ થઈ શકે છે.
દેશની ઝડપથી વધી રહેલી વસતિને યુવાનો દ્વારા સશક્ત બનાવવામાં આવી છે તેની નોંધ લઈને શ્રી મોદીએ માહિતી આપી હતી કે, આગામી 25-30 વર્ષ સુધી કાર્યકારી વયની વસતિની દ્રષ્ટિએ ભારત અગ્રણી બનશે અને દુનિયા તેને ઓળખે છે. પીએમ મોદીએ કહ્યું કે, “યુવા શક્તિ પરિવર્તનનો એજન્ટ છે અને પરિવર્તનના લાભાર્થી પણ છે.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષ આજની કોલેજો અને યુનિવર્સિટીઓમાં યુવાનોની કારકિર્દી માટે નિર્ણાયક બની રહેશે. ભવિષ્યમાં યુવાનો જ નવા પરિવારો અને નવા સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારત કેવું હોવું જોઈએ તેનો નિર્ણય લેવાનો અધિકાર તેમને જ છે.