Site icon Revoi.in

પીએમ મોદીએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રામાણિકતાની પ્રશંસા કરી,તેમના પુત્ર અનુજના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી

Social Share

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની “પ્રામાણિકતા અને સાદગી” માટે પ્રશંસા કરી હતી. મોદીએ એક સમાચાર અહેવાલ શેર કર્યો હતો કે કેવી રીતે મુખ્યમંત્રીએ તેમના પુત્રને સ્ટ્રોકનો ભોગ બન્યા પછી મુંબઈ લઈ જવા માટે સરકારની એર એમ્બ્યુલન્સ માટે ચૂકવણી કરી. વડા પ્રધાને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની હોસ્પિટલમાં દાખલ થયેલા મુખ્યમંત્રીના પુત્ર અનુજના ઝડપી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કર્યું, “ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર જીવનમાં ઈમાનદારી અને સાદગીનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. મને ભરોસો અને વિશ્વાસ છે કે તેમનું આચરણ સાર્વજનિક જીવનમાં સક્રિય કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. હું તેમના પુત્ર અનુજના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું.

ભારતીય જનતા પાર્ટી (BJP) ના ગુજરાત એકમ દ્વારા ટ્વિટર પર શેર કરાયેલા એક સમાચારના જવાબમાં મોદીએ પટેલની પ્રશંસા કરી હતી. ગુજરાતમાં સત્તાધારી ભાજપે સરકારી એર એમ્બ્યુલન્સ સેવા માટે ચૂકવણી કરવા બદલ ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરી છે. ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને 30 એપ્રિલે સ્ટ્રોક આવ્યો હતો અને તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. 1 મેના રોજ અનુજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તે નિરીક્ષણ હેઠળ છે.

 

Exit mobile version