દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે. કોવિડ મહામારીને કારણે અહીં બે વર્ષના લાંબાગાળા પછી તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ (ISC)નું આયોજન જાન્યુઆરી 2020માં બેંગ્લોરમાં કરવામાં આવ્યું હતું.
ISCનું પાંચ દિવસીય 108મું સત્ર રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં યોજાશે. લગભગ બે દાયકામાં આ કદાચ પ્રથમ વખત હશે કે વડાપ્રધાન તેમના વ્યસ્ત શેડ્યૂલને કારણે આ કાર્યક્રમમાં શારીરિક રીતે હાજર નહીં હોય.108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના ટેકનિકલ સત્રને 14 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જે અંતર્ગત યુનિવર્સિટીના મહાત્મા જ્યોતિબા ફૂલે શૈક્ષણિક સંકુલમાં અલગ-અલગ સ્થળોએ સમાંતર સત્રો યોજાશે. આ 14 વિભાગો ઉપરાંત, મહિલા વિજ્ઞાન કોંગ્રેસ, ખેડૂત વિજ્ઞાન કોંગ્રેસ, ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ, આદિવાસી સમાગમ, સાયન્સ એન્ડ સોસાયટી અને કોંગ્રેસ ઓફ સાયન્સ કોમ્યુનિકેટર્સનું એક-એક સત્ર પણ યોજવામાં આવશે.