Site icon Revoi.in

પોલો ફોરેસ્ટમાં રિંછની ગણતરીને કારણે 13મી જુનથી 15મી જુન સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે

Social Share

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પ્રવાસન સ્થળ પોલો ફોરેસ્ટ વિસ્તારમાં વધુ એકવાર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રીંછની વસ્તી ગણતરીના પગલે ત્રણ દિવસનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રીંછની રાજ્યવ્યાપી વસતી ગણતરીના પગલે બહારથી અહીં ફરવા આવતા તમામ લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 13 જૂન થી 15 જૂન સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે, રીંછની ગણતરીના 6 વર્ષ પૂર્ણ થતા ફરી રીંછની ગણતરી કરવામાં આવશે

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ પોલોના જંગલ વિસ્તારમાં સ્થાનિક લોકો સિવાય બહારના તમામ લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જો કોઈ આ આદેશનો ભંગ કરતા ઝડપાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલો ફોરેસ્ટમાં રિંછની વસતી ગણતરી કરવામાં આવશે, જેના લીધે આગામી તા.13મીથી 15મી જુન દરમિયાન પ્રવાસીઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા પોલો ફોરેસ્ટને પોલ્યુશન ફ્રી રાખવા એક મોટો નિર્ણય લેવાયો હતો. જિલ્લા કલેક્ટર દ્વારા પોલો ફોરેસ્ટમાં પ્રવેશતા ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો પર 10 મી જૂન સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને જો કોઈ કાર કે અન્ય ભારે વાહન લઇ પોલો ફોરેસ્ટ ફરવા માટે આવે છે, તો તેમને શારેશ્વર મંદિર ફોરેસ્ટ નાકા પાસે વાહન પાર્ક કરવા આદેશ કરવામાં આવ્યો હતો. બીજી તરફ અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરાનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પોલો ફોરેસ્ટમાં પ્રદુષણ અટકાવવા અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જંગલમાં પ્લાસ્ટિકનો કચરો ફેલાય નહી તે માટે જિલ્લા કલેક્ટરે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો હતો. એટલે કે જો કોઈ વ્યક્તિ પોલો ફોરેસ્ટ ફરવા જાય છે તો તે ત્યાં પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ લઈ જઈ શકશે નહીં.