Site icon Revoi.in

રશિયામાં પાકિસ્તાનના પીએમ ઈમરાન સાથે વડાપ્રધાન મોદીની મુલાકાતની શક્યતા, પુતિનની ખ્વાહિશ પર થશે બેઠક!

Social Share

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની ઘણાં લાંબા સમયથી ઈચ્છા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ મુલાકાત કરે. પરંતુ પાકિસ્તાનની આતંકપરસ્તીને કારણે આવી મુલાકાત હજી સુધી શક્ય બની નથી. પરંતુ હવે મીડિયા અહેવાલોમાં દાવા થઈ રહ્યા છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રશિયામાં મુલાકાત થવાની શક્યતા છે.

ગલ્ફ ન્યૂઝ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, બંને નેતાઓ સપ્ટેમ્બરના પ્રારંભિક સપ્તાહમાં રશિયાના વ્લાદિવોસ્તોકમાં મુલાકાત કરે તેવી શક્યતા છે. બંને નેતાઓ અહીં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે પહોંચશે. બંનેની બેઠક ક્યારે થશે, તેના પર આ બંને દેશના જ મીડિયા નહીં, પણ આખી દુનિયાના મીડિયાની નજરો મંડાયેલી છે.

રશિયાના વ્લાદિવોસ્તોકમાં ચારથી છ સપ્ટેમ્બર સુધી ઈઈએફનું આયોજન થશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન તરફથી ઈમરાન અને મોદી બંનેને આ ફોરમમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે બંને નેતા જ્યારે અહીં ભાગ લેશે, તો તેમની મુલાકાતની શક્યતા છે. પીએમ મોદી અને પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન તાજેતરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં આમને-સામને હતા. કિર્ગિસ્તાનના પાટનગર બિશ્કેકમાં આયોજીત આ સમિટમાં બંને નેતાઓનું હસ્તધૂનન થયું હતું, પરંતુ તેમની વચ્ચે કોઈપણ પ્રકારની સત્તાવાર મુલાકાત થઈ ન હતી.

ઈમરાનખાને ગત વર્ષ ઓગસ્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી. જાન્યુઆરી-2016માં પઠાનકોટ ખાતે ઈન્ડિયન એરફોર્સના બેસ પર હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો બંધ છે. સૂત્રોનું માનીએ, તો ભારત સાથે મોદી-ઈમરાનની બેઠકને લઈને કથિતપણે રાજદ્વારી ચર્ચા ચાલુ છે. પાકિસ્તાનના અખબાર ધ નેશને પાકિસ્તાનના વિદેશ વિભાગની ઓફિસ સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને આ વાત લખી છે. બંને દેશો વચ્ચે 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા બાદથી તણાવ નવા સ્તર પર પહોંચી ગયો છે. આ આતંકી હુમલામાં ભારતીય સુરક્ષાદળના 44 જવાનો શહીદ થયા હતા.

પાકિસ્તાનના વિદેશ વિભાગે ધ નેશન સાથે વાત કરતા કહ્યુ છે કે આ મુલાકાત પર રશિયાના કારણે વિચારણા કરાઈ રહ છે, કારણ કે રશિયા પણ ચાહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગલતફેમીઓ દૂર થાય અને સંબંધો બહેતર બની શકે. અમે એકદમ સ્પષ્ટ છીએ અને ભારત સાથે મુલકાત કરવા ઈચ્છીએ છીએ. આ ભારત પર છે કે તે નિર્ણય લે કે તેઓ ક્યારે તૈયાર હશે. પાકિસ્તાનના વિદેશ વિભાગનું માનીએ તો ઈમારાન ખાન અને ભારતના પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત આ ક્ષેત્રમાં શાંતિ કાયમ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. પાકિસ્તાનનું માનીએ તો ભારતને વાટાઘાટો માટે રાજી કરવા પર તેઓ ઘણી મહેનત કરી રહ્યા છે.