Site icon Revoi.in

સોમનાથ મહાદેવજીના મંદિરના 73માં સ્થાપના દિન નિમિત્તે ધ્વજપૂજા સહિત કાર્યક્રમો યોજાયા

Social Share

સોમનાથઃ દેશ વિદેશમાં વસતા શિવભક્તો ની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્રતટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ  સોમનાથ મહાદેવ મંદિર નો વૈશાખ સુદ પાંચમના રોજ તિથિ પ્રમાણે આજે  73′ મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. 11′ મે  1951 ના વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે 9 કલાક 46  મીનીટે ભારતના મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્ર પ્રસાદ ના શુભ હસ્તે હાલના જ્યોતિર્લિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ દિવ્ય પ્રસંગની વિશેષ ઊજવણી એવી હતી કે “પ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સમયે પવિત્ર 108 તીર્થસ્થાનોના અને સાત સમુદ્રોના જળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો, આ ધન્ય પળે 101 તોપોના ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ થયો હતો.

શિવપ્રાસાદ નિર્માણના અધિકૃત ગ્રંથ દીપાર્ણવમાં ઉલ્લેખ છે, કે આવુ શિવલિંગ સર્વલિંગોમાં શ્રેષ્ઠ છે. ગર્ભગૃહ સુર્વણથી મઢેલ છે અને દ્વારો-દ્વારશાખ તથા આગળના સ્થંભો, મંદિરના નૃત્યમંડપ સભામંડપના કળશો સુર્વણ મંડીત થયા છે,  મંદિરના સાત માળ છે. સોમનાથ મંદિર નિર્માણ સદીની મોટી ઘટના ઈતિહાસમાં નોંધાઈ છે. 800 વર્ષ પછી નાગરશૈલી મા નિર્માણ પામનાર આ પ્રથમ દેવાલય છે, જેને કૈલાશ મહામેરૂ પ્રાસાદથી પણ પ્રસિદ્ધ છે.

પ્રાચીન યુગથી વર્તમાન યુગ સુધી વારંવાર આક્રમણ- વિસર્જન- સર્જન- આસ્થા- રાજવીઓ શહિદોના સમર્પણ અને શિલ્પકલાનું બેનમુન શિવાલય અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદાનનુ જીવંત સાક્ષી આ શિવાલય દર્શન પૂજાવિધીથી વર્તમાન યુગમાં સાત સમંદર પાર વિદેશમાં વસતા ઓનલાઈન સોશ્યલ મીડીયાના માધ્યમથી દર્શનાર્થીઓ પહોંચે છે.
આજે શ્રી સોમનાથ મંદિર ના 73′ માં સ્થાપના દિવસ નિમિત્તે ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇના હસ્તે ધ્વજાપૂજા, સરદારશ્રીને  વંદના અને પૂષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી. 72 વર્ષ પૂર્વે સવારે  9, 46  એ મહાપૂજા કરવામાં આવી હતી, એ ઉપલક્ષ્યમાં  તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ શૃંગાર મુખ્ય પૂજારી વિજય ભટ્ટ તથા પૂજારી વૃંદ દ્વારા કરવામાં આવ્યો હતો.