Site icon Revoi.in

રાજસ્થાનઃ રાજગઢનગરમાં મંદિર તોડવા મુદ્દે પાલિકાના અધ્યક્ષ સહિત 3 સામે કાર્યવાહી

Social Share

નવી દિલ્હીઃ રાજસ્થાનના અલવરમાં અતિક્રમણ હટાવવા દરમિયાન મંદિર પર બુલડોઝર ચલાવવાના મામલામાં ગહલોત સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અશોક ગેહલોત સરકારે રાજગઢ નગરપાલિકાના અધ્યક્ષ સહિત ત્રણ લોકોને સસ્પેન્ડ કર્યા છે. અલવરના રાજગઢમાં ત્રણ વ્યક્તિઓ ઉપર મંદિર પર બુલડોઝર ચલાવવાનો આરોપ લાગ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના રાજગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યું હતું. વિકાસના નામે કેટલાક ગેરકાયદે બાંધકામોની સાથે 3 ધાર્મિક સ્થળોને પણ તોડવામાં આવ્યાં હતા. જેમાં 300 વર્ષ જૂના શિવાલયનો પણ સમાવેશ થાય છે. મંદિર તોડવાના મુદ્દે વિવાદ થતા ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યાં હતા. દરમિયાન રાજ્યની કોંગ્રેસ સરકારે મોટી કાર્યવાહી કરીને રાજગઢ નગરપાલિકા પ્રમુખ સતીશ દુહરિયાને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત નગરપાલિકાના કાર્યકારી અધિકારી બનવારીલાલ મીણા અને SDM કેશવ કુમાર મીણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હાઈકોર્ટના વકીલે રાજગઢમાં પ્રાચીન શિવ મંદિર તોડનારાઓ સામે એફઆઈઆર પણ નોંધાવી છે, પરંતુ રાજગઢમાં નગર પરિષદના નિર્ણય બાદ અતિક્રમણ સામેની કાર્યવાહીમાં માત્ર એક મંદિર તોડવામાં આવ્યું નથી, પરંતુ 140થી વધુ દુકાનો તોડવામાં આવી હતી. આ કાર્યવાહીથી પ્રભાવિત લોકોએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધને ઉગ્ર બનતો જોઈને પોલીસે કેટલાક લોકોને ડિટેઈન કરવાના પ્રયાસ કર્યો હતો. તે સમયે પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિર તોડી પાડવા મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામ-સામે આવી ગયા હતા અને એકબીજા ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.