Site icon Revoi.in

રાજકોટ રેલવે ડિવિઝને ટિકિટ વિના મુસાફરી કરતા 25,973 મુસાફરોને ઝડપીને 1.99 કરોડનો દંડ વસૂલ્યો

Social Share

રાજકોટઃ રેલવેમાં સમયાંતરે ચેકિંગ કરીને ટિકિટ વગર પ્રવાસ કરતા મુસાફરોને પકડવામાં આવતા હોય છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ વગર અને નિયમો વિરૂદ્ધ મુસાફરી કરતા લોકોને રોકવા માટે એપ્રિલ મહિના દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ સાથે મુસાફરી કરતા 25,973 મુસાફરોને પકડીને તેમની પાસેથી  રૂ.1.99 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.  જે એક જ મહિનામાં ટિકિટ ચેકિંગથી આવકનો અત્યારસુધીનો સર્વશ્રેષ્ઠ આંકડો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા વિભાગીય સ્ટેશનો અને ટ્રેનોમાં સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. અને મહિનાના અંતે કેટલા ખૂદાબક્ષો પકડાયા અને તેમની પાસેથી કેટલો દંડ વસુલવામાં આવ્યો તેના આંકડાં જાહેર કરવામાં આવતા હોય છે. એપ્રિલ મહિનામાં ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ સાથે મુસાફરી કરતા 25,973 મુસાફરોને પકડીને તેમની પાસેથી  રૂ.1.99 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ અગાઉ માર્ચ, 2022ના મહિનામાં 22,464 મુસાફરો પાસેથી રાજકોટ ડિવિઝન દ્વારા રૂ.1.61 કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા. રાજકોટ રેલવે ડિવિઝન ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવીને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિના દરમિયાન  ટિકિટ વિનાના, અને અનિયમિત ટિકિટ ધરાવનાર 25,973 મુસાફરો પાસેથી કુલ રૂ.1,99,49,720 વસૂલવામાં આવ્યા છે, જેમાંથી ટિકિટ વિના મુસાફરી કરતા 25,948 મુસાફરો પાસેથી રૂ.1,99,41,520, ઓવર ટ્રાવેલિંગ કરતાં 3 મુસાફરો પાસેથી રૂ.1,350, ઉચ્ચ વર્ગમાં મુસાફરી કરતાં 13 મુસાફરો પાસેથી રૂ.6,350 અને વધુ સામાન લઈ જતાં 9 મુસાફરો પાસેથી રૂ.500 વસૂલવામાં આવ્યા છે.