Site icon Revoi.in

ગુજરાતમાં રેશનિંગના દુકાનદારોની હડતાળ, સરકાર સાથેની વાટાઘાટો પડી ભાંગી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો કમિશન વધારવાની માગણી સાથે હડતાળ પર ઉતર્યા હતા. રેશનિંગની દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાળથી દિવાળીના તહેવારોના સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. દરમિયાન સરકારે સસ્તા અનાજ દુકાનદારોના એસોસિએશન સાથે વાટાઘાટો શરૂ કરી હતી. એસોસિએશનના હોદ્દેદારો પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને મળ્યા હતાં. આ બેઠક બાદ રેશનિંગની દુકાનના એસોસિએસનના આગેવાન પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી જેથી હડતાળ યથાવત રહેશે.

ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો છેલ્લા ઘણા સમયથી દર મહિને રૂ. 20000 ફિક્સ કમિશનની માગ કરી રહ્યા છે. તાજેતરમાં સરકારે આ માગ સ્વીકારી પણ હતી. જોકે, બાદમાં સરકારે અચાનક 300 કરતા ઓછા કાર્ડ હોય તે વેપારીઓને જ કમિશન આપવાનું જાહેર કર્યું હતુ. જેને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિવાળીનાં તહેવારો પૂર્વે જ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા અસહકાર આંદોલન શરૂ કર્યું છે. બુધવારે તમામ સસ્તા અનાજની દુકાનો બંધ રહેતા રાશનકાર્ડ ધરાવતા લાખો ગરીબોની દિવાળી બગડે તેવી શક્યતા છે.

આ અંગે રાજકોટ ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનનાં મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં 700 દુકાનદાર પાસે 2.89 લાખ ગ્રાહકો અને ગુજરાતમાં 17 હજાર વેપારી પાસે 72 લાખ જેટલા ગ્રાહક છે. તાજેતરમાં રાજ્ય સરકારે રેશનિંગનાં વેપારીઓને માસિક રૂ.20 હજાર કમિશન આપવાની જાહેરાત કર્યા બાદ તુરંત જ રાજ્યનાં પૂરવઠા વિભાગનાં અધિકારીઓએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં માત્ર 300 કે તેનાથી ઓછા કાર્ડ ધરાવતા વેપારીઓને જ રૂ. 20,000 કમિશન આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને 350 કે 400 ગ્રાહક ધરાવતા વેપારીઓને 12-15 હજાર કમિશન મળી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયને લઈ જેની પાસે 25-50 ગ્રાહક હોય તેને તો રૂ. 20,000 મળે છે. પણ જેની પાસે 301થી 400 સુધીના ગ્રાહકો હોય તેવા વેપારીઓને માત્ર 12-15 હજાર રૂપિયા કમિશન મળે છે. આ બાબત ખરેખર કોઈ પણ રીતે યોગ્ય નથી.