Site icon Revoi.in

અમદાવાદ: સોસાયટીઓએ 50 કિલોથી વઘુ કચરો હશે તો જાતે જ નિકાલ કરવો પડશે

Social Share

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે કચરાને વિભાજનને લઇને એક નોટિસ જાહેર કરી છે. સોલિડ વેસ્ટ વિભાગે શહેરી વિસ્તારોની સોસાયટીઓ તેમજ કોમર્શિયલ એકમોમાં 50 કિલોથી વધુ કચરો ઉત્પન્ન થાય તો તેને વિભાજીત કરીને પ્રોસેસ કરવાની જવાબદારી તેમના પર લાદવાની નોટિસ જાહેર કરી છે. જેનાથી ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

AMCના સોલિડ વેસ્ટ વિભાગે નોટિસમાં જણાવ્યું છે કે વન પર્યાવરણ મંત્રાલય દ્વારા અમલી બનેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અંતર્ગત શહેરી વિસ્તારમાં બલ્ક વેસ્ટ જનરેટરની વ્યાખ્યામાં આવતા તમામ એકમોને આદેશ આપવામાં આવે છે કે, તેમના દ્વારા ઉત્પન્ન થતાં કચરા પૈકી કેટલાક ચોક્કસ કચરો તેમણે જાતે મેનેજ કરવાનો રહે છે. તેથી એએમસી જાહેર નોટિસ દ્વારા રોજ 50 કિલોથી વઘુ કચરો ઉત્પન્ન કરતાં તમામ પરિસરો, બિલ્ડિંગો અને સોસયાટીઓને આદેશ આપે છે કે, નોટિસ જાહેર થયાના 30 દિવસની અંદર પોતાના ઘન કચરાને ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવાનો રહેશે.

આ ઉપરાંત બાયોડીગ્રેડેબલ કચરાનું પ્રોસસિંગ પોતાના જ પરિસરમાં કરવાનું રહેશે અથવા તેનો નિકાલ કોઇ એજન્સી દ્વારા કરવો પડશે.

આ એકમો દ્વારા દરરોજ 50 કિલોથી ઓછો કચરો ઉત્પન્ન કરવામાં આવે છે તેવી સ્પષ્ટતા 20 દિવસમાં રજૂ નહીં કરવામાં આવે તો દરેક રેસિડેન્શિયલ વેલ્ફેર અસોસિએશન, માર્કેટ અસોસિએશન, હોટેલ-રેસ્ટોરન્ટ તેમજ કોમર્શિયલ એકમોને બલ્ક વેસ્ટ જનરેટરની વ્યાખ્યામાં આપમેળે સામેલ કરવામાં આવશે અને તેમની સામે દંડ સહિતની કાર્યવાહી થશે.

(સંકેત)