Site icon Revoi.in

અમદાવાદ: ‘ભારત મંથન 2.0’ સાહિત્ય ઉત્સવનું ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આયોજન

Social Share

અમદાવાદ: પુસ્તકને મનુષ્યનો સૌથી શ્રેષ્ઠ મિત્ર કહેવામાં આવે છે અને પુસ્તક તથા સાહિત્યનું વાચન એક સરેરાશ વ્યક્તિને ઉચ્ચસ્તરે લઇ જાય છે ત્યારે વાચકોને કેટલાક પુસ્તકોથી માહિતગાર કરવા માટે બે વર્ષથી ભારત મંથન નામે અમદાવાદમાં સાહિત્ય ઉત્સવનું આયોજન ભારત મંથન ટીમ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાને સ્થિતિને ધ્યાનમાં લઇને તેને અનુરૂપ ‘ભારત મંથન-2.0’નું આયોજન ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે.

આ વર્ષે અમદાવાદ સ્થિત ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે તા.25 ડિસેમ્બરના રોજ શુક્રવારે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ‘ભારત મંથન-2.0’ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખિકા ડૉ. નીરજા ગુપ્તાનું “ભારત મંથન સન્માન” BAOUના વાઇસ ચાન્સેલર ડૉ. અમીબેન ઉપાધ્યાય તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના હસ્તે કરવામાં આવશે.

આ વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે ગાઇડલાઇન્સ અનુસાર કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે આશરે 100 જેટલા ભાવકો ઉપસ્થિત રહેશે અને બાકીના મોટી સંખ્યામાં લોકો લાઇવ પ્રસારણમાં ઑનલાઇન જોડાશે.

આ વર્ષે ‘ભારત મંથન’ સાહિત્ય ઉત્સવ માટે જે ચાર પુસ્તકોની પસંદગી કરવામાં આવી છે, તેમાં An Entirely New History of India (લેખક: ફ્રાન્સવા ગોતિયે), Unbreaking India (લેખક: સંજય દિક્ષીત), ડૉ. બાબાસાહેબ આંબેડકર, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન (લેખક: કિશોર મકવાણા) તથા Saffron Swords (લેખિકા: માનોશી સિંહા રાવલ) પુસ્તકનો સમાવેશ થાય છે. આ ચારેય પુસ્તકો વિશે તેના લેખકો પોતે જ વક્તવ્ય આપશે.

નોંધનીય છે કે છેલ્લાં બે વર્ષથી ભારત મંથન નામે અમદાવાદમાં સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે, એએમએ, અટીરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો અને આ વર્ષે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

(સંકેત)