Site icon Revoi.in

વર્ષ 2021ના પ્રથમ દિવસે સીએમ રૂપાણી રાજ્યના 5 બસ સ્ટેશનનું કરશે ઇ-લોકાર્પણ

Social Share

ગાંધીનગર: ગુજરાતની જનતાને પરિવહનની શ્રેષ્ઠ સુવિધા અને સેવાઓ આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્વ છે ત્યારે રાજ્યમાં નવનિર્મિત 5 બસ સ્ટેશન અને 1 ડેપો-વર્કશોપનું 2021ના વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇ-લોકાર્પણ કરશે. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ 10 જગ્યાએ તૈયાર થનારા બસ સ્ટેશનોનું પણ ઇ-ખાતમુહૂર્ત કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રૂ.15.25 કરોડના ખર્ચે નિર્મિત ચુડા, અંકલેશ્વર, સિદ્વપુર, દિયોદર, તલોદ ખાતે બસ સ્ટેશન તેમજ ઉના ખાતે ડેપો-વર્કશોપનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મહુવા, કલ્યાણપુર, ભાણવડ, વસઇ, સરા, ટંકારા, કોટડાસાંગાણી, તુલસીશ્યામ, ધાનપુર, કેવડિયા કોલોની ખાતે રૂ.18.41 કરોડના ખર્ચે તૈયાર થનારા બસ સ્ટેશનનું પણ ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રાજ્ય મંત્રીમંડળના સભ્યો વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી આ લોકાર્પણ-ભૂમિપૂજન કાર્યક્રમમાં સહભાગી થશે. ચુડામાં મહિલા બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, અંકલેશ્વરમાં સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સિધ્ધપુરમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર, દિયોદરમાં સંસદસભ્ય પરબતભાઈ પટેલ, તલોદમાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, ઉનામાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

ભાણવડમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, મહુવામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ટંકારામાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ધાનપુરમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, કોટડાસંગાણીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેવડિયા કોલોનીમાં આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, કલ્યાણપુરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સરામાં શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રશ્રી યોગેશભાઈ પટેલ, તુલસીશ્યામમાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા ખાતમુહર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી દ્વારા સામાન્ય માનવીની જાહેર યાતાયાત સુવિધામાં સતત વધારો અને આધુનિક બસપોર્ટના નિર્માણથી બેસ્ટ પેસેન્જર એમીનીટીઝનો અભિગમ આ નવા પ્રકલ્પો સાકાર કરશે.

(સંકેત)