Site icon Revoi.in

સોમનાથના સમુદ્રમાં કાચની ટનલ આકાર પામશે, પ્રવાસીઓ નિહાળી શકશે દરિયાઇ જીવસૃષ્ટિ

Social Share

પ્રભાસ પાટણ: પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ અહીંયા વિકાસ કાર્યો હાથ ધરવાની કવાયત શરૂ થઇ થઇ છે. જે અંતર્ગત 300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવનારા પ્રવાસીઓને આકર્ષી શકે એવા અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. સોમનાથના સમુદ્રમાં પ્રવાસીઓ માટે કાચની ટનલ બનાવવામાં આવશે.

ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ આગામી મહિનાઓમાં સોમનાથ મંદિર સહિત અનેકવિધ બહુમુખી ભવ્ય વિકાસના કાર્યો હાથ ધરશે. સોમનાથના યાત્રિકો-પર્યટકો સમુદ્ર જીવસૃષ્ટિને માણી શકે તે માટે રૂપિયા 300 કરોડના ખર્ચે પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવશે. સમુદ્રમાં એક કાચની ટનલનું નિર્માણ કરવામાં આવશે. જેમાં જઈને પર્યટકો દરિયાની અંદરની જીવસૃષ્ટિને નિહાળી શકશે. સોમનાથ મંદિરના પ્રાચીન ઈતિહાસના સંશોધન ખનન માટે આર્કોલોજી વિભાગના વડા પંકજ શર્માને પણ સોમનાથ બોલાવાયા હતા.

સોમનાથના ટ્રસ્ટી અને સચિવ પ્રવીણ લહેરીએ જણાવ્યું, સોમનાથ મંદિરે આવતાં લોકોને આકર્ષવા માટે આગામી દિવસોમાં સરકાર, ખાનગી કંપની અને સોમનાથ મંદિર ટ્રસ્ટના સહયોગથી વિકાસ કામો હાથ ધરવામાં આવશે. જેમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઈ ટનલનો છે. પર્યટકો આ ટનલમાં જઈને એક્વેરિયમની જેમ જ દરિયાની જીવસૃષ્ટિ નિહાળી શકશે. તો પ્રોજેક્ટના બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યૂઝિયમ બનશે. જેમાં પશુ-પક્ષ, વિવિધ સંપ્રદાય-ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડિયો-વિઝ્યુઅલ પ્રોજેક્ટની કામગીરી થશે.

સોમનાથના શહીદ હમિરસિંહજી ગોહિલ સર્કલથી જ સીધી લીટીમાં સોમનાથ મહાદેવ મંદિરનું સીધે સીધું દ્રશ્ય દેખાય તે અંગેનું કામ પણ કરાશે. દરમિયાન સોમનાથ મંદિર અને આસપાસના 4 સ્થળોએ ભૂગર્ભ બાંધકામ અંગે ગાંધીનગર IITએ રિપોર્ટમાં જે ચાર સ્થળો દર્શાવ્યા છે, તેના સંશોધન માટે પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્માએ બે દિવસ સોમનાથમાં રોકાણ કર્યું હતું. આ સ્થળોના સંશોધન અને ખનન માટે મોકલેલી દરખાસ્ત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(સંકેત)