Site icon Revoi.in

ખેડુતો ખરીફ પાકના ટેકાના ભાવે વેચાણ માટેની નોંધણી હવે 31 મી ઑક્ટોબર સુધી કરી શકશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. 25-09-2023 થી તા. 16-10- 2023 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તા. 31 ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે, તેમ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું.

મંત્રી  રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, તા. 15 ઑક્ટોબર સુધીની સ્થિતિએ રાજ્યમાં મગફળી માટે 35,585 ખેડૂતો, સોયાબીન માટે  23,316 ખેડૂતો, મગ પાક માટે  95 ખેડૂતો અને અડદ પાક માટે 62  ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં સહભાગી થઈ તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મેળવવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 6364  કરોડની કિંમતની 9.98  લાખ મે. ટન મગફળી અને રૂ. 420  કરોડની  91,343 મે. ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા વર્ષ 2023-24  માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ. 6377/- કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8558/- કિવ., અડદનો ટેકાનો ભાવ રૂ 6950/- કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 4600 /- કિવ. જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા. 21-10-2023 શનિવારના રોજથી શરૂ કરવામાં આવશે.