Site icon Revoi.in

સંસદની સુરક્ષામાં ક્ષતિનો મામલોઃ લોકસભા સચિવાલયના 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

Social Share

દિલ્હી: લોકસભાની કાર્યવાહી દરમિયાન સંસદની સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરનાર અને ગૃહમાં ઘૂસી ગયેલા બે લોકોના કેસમાં લોકસભા સચિવાલયે સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ લોકસભા અધ્યક્ષે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંસદ ભવન સુરક્ષા સ્ટાફ સાથે જોડાયેલા 8 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં હંગામો મચાવતા વિપક્ષી સાંસદોને કહ્યું કે સ્પીકરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

લોકસભામાં કામ કરતા કર્મચારીઓના નામમાં રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત અને નરેન્દ્રનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓની જવાબદારી સંસદની સુરક્ષાની હતી પરંતુ તેઓ તેમાં નિષ્ફળ ગયા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે ગઈકાલે બનેલી ઘટનાની દરેકે નિંદા કરી છે. આ ખૂબ જ કમનસીબ ઘટના છે. લોકસભા અધ્યક્ષે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આપણા તમામ સાંસદોએ સાવચેત રહેવાની જરૂર છે. આ રીતે સંસદમાં અરાજકતાની સ્થિતિ ઉભી કરવી યોગ્ય નથી.

બુધવારે સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વરસી પર, સુરક્ષા ભંગની એક મોટી ઘટના પ્રકાશમાં આવી જ્યારે લોકસભાની કાર્યવાહી દરમિયાન, બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા અને ‘કેન’ દ્વારા પીળો ધુમાડો છોડ્યો. ઘટના બાદ તરત જ બંને ઝડપાઈ ગયા હતા. આ ઘટનાના થોડા સમય પછી, પીળો અને લાલ રંગનો ધુમાડો છોડનાર કેન લઈને સંસદ ભવન બહાર વિરોધ કરવા બદલ એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

સંસદમાં કૂદી પડનાર બે વ્યક્તિઓની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. સંસદ ભવન બહારથી ધરપકડ કરાયેલા બે લોકોની ઓળખ હરિયાણાના જીંદ જિલ્લાના ગામ ઘાસો ખુર્દની રહેવાસી નીલમ (42) અને લાતુર (મહારાષ્ટ્ર)ના રહેવાસી અમોલ શિંદે (25) તરીકે થઈ છે.