Site icon Revoi.in

વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રાનું લાંબી માંદગી બાદ 76 વર્ષે નિધન

R. K. Mishra

R. K. Mishra

Social Share

અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026 – ગુજરાતના એક વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રાનું આજે લાંબી માંદગી બાદ 76 વર્ષની વયે નિધન થયું હતું. શહેરના શિલજ વિસ્તારમાં આવેલા અંતિમધામમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તે સમયે અમદાવાદના વરિષ્ઠ પત્રકારો હાજર રહ્યા હતા.

સ્વ. મિશ્રાજી છેલ્લા પાંચેક દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રમાં સક્રિય હતા. જોકે, કેટલાક વર્ષોથી તેઓ પ્રોસ્ટેટ કેન્સરથી પીડાઈ રહ્યા હતા. છેવટે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતી. નોંંધપાત્ર છે કે હજુ આ મહિને જ તેમનો 76મો જન્મદિવસ પણ ઉજવાયો હતો.

શહેર અને રાજ્યના વિવિધ મીડિયા ગૃહ ઉપરાંત સમાચાર એજન્સીઓમાં પણ કામગીરી કરી ચૂકેલા મિશ્રાજી પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે એક પ્રકારે હરતીફરતી સંસ્થા હતા. નવા આવતા પત્રકારોને તેઓ હંમેશા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા. “તથ્યો સાથે ક્યારેય સમાધાન ન કરવું” – આ તેમનો જીવનમંત્ર હતો.

સ્વર્ગસ્થ આર. કે. મિશ્રાજી મૂળ ઉત્તર પ્રદેશના હતા, પરંતુ દાયકાઓથી ગુજરાતને જ કર્મભૂમિ બનાવી હતી. તેમણે ગુજરાતી ભાષાને એ સ્તરે આત્મસાત કરી હતી કે, તેઓ બોલે ત્યારે તેઓ ગુજરાતી નથી એવું કોઈને લાગે જ નહીં. તેમણે પાંચ દાયકાની કારકિર્દી દરમિયાન ભારત અને વિદેશમાં કેટલાંક ટોચનાં સમાચાર પ્રકાશનો માટે કામ કર્યું. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, ધ પાયોનિયર, ફ્રી પ્રેસ જર્નલ, આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી), નાગપુરનાં સમાચાર દૈનિકો હિતાવહ, ચંદીગઢનું ડેઇલી પોસ્ટ અને દિલ્હીનું આઉટલુક મેગેઝિન, દિલ્હીમાં પ્રોબ ઇન્ડિયા અને તેના સિસ્ટર હિન્દી પ્રકાશન ‘માયા’ સાથે સિનિયર આસિસ્ટન્ટ એડિટર તરીકે અને ધ પાયોનિયર અને ઇન્ડો-એશિયન ન્યૂઝ સર્વિસ (IANS) ના સ્પેશિયલ કોરસપોન્ડન્ટ અને પછી રોવિંગ એડિટર તરીકે પણ તેમણે કામ કર્યું. તેમણે દુબઈના ગલ્ફ ન્યૂઝ અને સાઉદી અરેબિયાના અરબ ન્યૂઝ ઉપરાંત ચંદીગઢના ટ્રિબ્યુન અને બેંગલુરુ વિજય ટાઇમ્સ માટે પણ કામ કર્યું હતું.

Exit mobile version