Site icon Revoi.in

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ RM છાયાની ગૌહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરાયા બાદ વધુ એક જસ્ટિસની ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ આર. એમ છાયાની ગૌહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાઈ છે . અગાઉ 17 મી મેના રોજ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના નામ પર અંતિમ મહોર વાગ્યા બાદ જસ્ટિસ આર. એમ છાયાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જૂએ સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપી હતી.

ગુજરાત હાઇકોર્ટે વર્તમાન સિનિયર મોસ્ટ જજ જસ્ટિસ આર.એમ. છાયાને ગૌહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી આપવાની ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવ્યા બાદ તેમના નામની અધિકૃત જાહેરાત કરવામાં આવી છે.  છાયા વર્ષ 2011માં ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે જોડાયા હતા. જસ્ટિસ છાયાએ એમ.એસ. યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ એલ.એ.શાહ કોલેજમાંથી L.L.B.કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1984માં વકીલાતનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી આસિસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લિડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ અમદાવાદ ઉપરાંત રાજકોટ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ રહી ચૂક્યા છે.

ગુજરાત હાઇકોર્ટેમાં કુલ 52 જજની સ્ટ્રેન્થ સામે જજની સંખ્યા 33 થઈ હતી. જેમાંથી 1 સિનિયર જજ બી.એન કારીયા રિટાયર્ડ થયા છે. ઉપરાંત જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થવાથી ગુજરાત હાઇકોર્ટમાં કુલ જજની સંખ્યા 31 થવા પામી છે.