Site icon Revoi.in

અમદાવાદમાં ચોખાની બોરીઓની ચોરી કરીને તસ્કરો રિક્ષામાં ભાગ્યા, રિક્ષાને અકસ્માત થતાં આરોપીનું મોત

Social Share

અમદાવાદ :  શહેરના દરિયાપુર વિસ્તારમાં એક દુકાનના તાળા તોડીને ચોખાની બોરીઓની ચોરી કરવામાં આવી હતી. અને તસ્કરોએ જે રિક્ષામાં ચોખાની બોરીઓની ચોરી કરી હતી તે રિક્ષાને અકસ્માત નડતા ત્રણ તસ્કોરેમાંથી એક આરોપીનું મોત નિપજ્યું હતું.  જ્યારે બે આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે.કે, શહેરમાં તાજેતરમાં ચોરીનો એક એવો બનાવ બન્યો કે જ્યાં ચોરી કરી મુદ્દામાલ છુપાવી આરોપીઓ ફરાર થતાં હતા. તે સમયે આરોપીઓની રિક્ષાને અકસ્માત નડ્યો હતો. જેમાં એક આરોપીનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે અન્ય બે ફરાર થયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચોખા બજારમાંથી ગત સપ્તાહે 13 કટ્ટા ચોખાની ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જે ગુનાની તપાસ કરતા દરિયાપુર પોલીસે મોહમ્મદ અમિદ સૈયદ અને અલ્તાફ સૈયદની ધરપકડ કરી ચોરીના ચોખા કબજે કર્યા હતા. ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીની સાથે મોહમ્મદ બિસ્મિલ્લાહ અકબરની સંડોવણી સામે આવી હતી. પરંતુ ચોરી કર્યાના કલાકો બાદ જ આરોપીની રિક્ષાને એક અકસ્માત નડ્યો હતો. જેમાં બિસ્મિલ્લાનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં એ હકિકત પણ સામે આવી હતી કે, ગુના માટે વપરાયેલી રિક્ષા પણ ચોરીની હતી.

ચોખા ચોરીની તપાસ કરતા પોલીસને એક સીસીટીવીના કૂટેજ મળી આવ્યા હતા. જે રિક્ષામાં ચોરી કરવામાં આવી હતી. રિક્ષા અંગે તપાસ કરતાં હકીકત સામે આવી કે, ગુનામાં વપરાયેલી રિક્ષાની નારોલ વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. તે જ રિક્ષામાં ચોરીને અંજામ અપાયો હતો. બાદમાં ચોરીની રિક્ષાનો અકસ્માત થતાં એક આરોપીનું મૃત્યુ નીપજ્યું હતું. એટલે કે એક જ રાતમાં ત્રણ અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધાયા હતા. જે ગુનામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.