નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના “સંચાર સાથી” એપને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે, આ એપ દ્વારા જાસૂસી કરવી બિલ્કુલ સંભવ નથી. તેમણે જણાવ્યું કે, એપનો હેતુ માત્ર લોકોની સુરક્ષા અને સહાય છે, ન કે તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી.
સિંધિયાએ કહ્યું કે, તાજેતરમાં જ મંત્રાલયે તમામ સ્માર્ટફોન કંપનીઓને આદેશ આપ્યો છે કે, નવા ફોનમાં આ એપ પ્રી-ઇન્સ્ટોલ હોવી જોઈએ, અને હાલના ફોન્સમાં સોફ્ટવેર અપડેટ દ્વારા ઉમેરાશે. મંત્રાલયના 28 નવેમ્બરના આદેશ મુજબ ફોન સેટઅપ દરમિયાન એપ સ્પષ્ટ દેખાવું જોઈએ અને તેની કોઈ સુવિધા બંધ અથવા મર્યાદિત ન કરી શકાય.
જો કે, સિંધિયાએ સ્પષ્ટ કર્યું કે યુઝર ઇચ્છે તો પોતાના ફોનમાંથી આ એપને દૂર કરી શકે છે. રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ સંચાર સાથી એપને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે આ એપ નાગરિકોની ગોપનીયતા માટે મોટો ખતરો બની શકે છે.
કોંગ્રેસના સાંસદે આક્ષેપ કર્યો હતો કે, એપ દ્વારા રિયલ-ટાઈમ લોકેશન, સર્ચ હિસ્ટરી, ફાઇનાન્શિયલ ટ્રાંઝેક્શન સુધી માહિતી મેળવી શકાય છે. SMS અને વોટ્સએપ ચેટ્સ સુધીની નજર રાખવી શક્ય બને છે. તેમજ સરકારએ મોબાઇલ કંપનીઓને કહ્યું છે કે એપ ન તો ડિલીટ કરી શકાય, ન ડિસેબલ.
સુરજેવાલાએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો કે જો એપમાં “કિલ સ્વિચ” હાજર છે, તો સરકાર એક પળમાં કોઈપણ ફોન બંધ કરી શકે છે, જેનાથી પત્રકારો, વિરોધ પક્ષ અને અસહમતી વ્યક્ત કરનારાઓને નિશાન બનાવવામાં સહુલિયત થઈ શકે છે.
કોંગ્રેસ સાંસદે આગળ કહ્યું કે એપના કારણે પાસવર્ડ્સ, બેંક ખાતાની જાણકારી અને વ્યક્તિગત ડેટા સરકારી એજન્સી અથવા હેકર્સની પહોંચમાં આવી શકે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે, જો સરકાર અપડેટ બહાર પાડે, પરંતુ કોઈ મોબાઇલ કંપની તેને ત્રણ મહિના પછી રોલઆઉટ કરે, તો તે દરમિયાન લાખો ડિવાઇસ હેકિંગના જોખમમાં રહેશે.

