Site icon Revoi.in

સુરતની કોર્ટે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15000 દંડ કર્યો, જામીન પણ મંજૂર કરાયા

Social Share

અમદાવાદઃ  કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા  ગત લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના બેંગલુરુ પાસે કોલારમાં પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. એમાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ છે. મોદીની અટક અંગે રાહુલના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિ ફરિયાદ નોંધાવી હતી. માનહાનિના આ કેસમાં આજે સુરતની કોર્ટે ચુકાદો આપીને રાહુલ ગાંધીને IPC 499 અને 500 મુજબ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર કરીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દરમિયાન રાહુલ ગાંધીને જામીન પણ મળી ગયા હતા.

સુરતના ધારાસભ્ય અને મોદી અટક પર થયેલી ટિપ્પણીને લઈને કોર્ટમાં કેસ કરનારા પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અંગે અમે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસમાં કોર્ટે અમારી ફરિયાદ ગ્રાહ્ય રાખી હતી અને આજે કોર્ટે જે ચુકાદો આપ્યો છે. તેને હું આવકારું છું. બચાવ પક્ષના વકીલે રાહુલ ગાંધી દોષિત જાહેર થતાં જ કહ્યું કે અમે આ કેસને લઈને હાઇકોર્ટમાં જઈશું. જો કે અમને પૂર્ણ ભરોસો છે કે, હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે.

પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને એડવોકેટ બાબુ માંગુકિયા કહ્યું હતું કે, આઈપીસી  499 અને 500 મુજબ દોષિત જાહેર થયા છે. આમાં લાંબી સજાની જોગવાઈ નથી. જામીન મળી ગયાં છે. નૈષધ દેસાઈ અને હસમુખ દેસાઈ રાહુલ ગાંધીના જામીન દાર બન્યાં છે

આ કેસની વિગત એવી હતી કે, લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો. છેલ્લે ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યાં હતાં. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત સુરત આવ્યા હતા. આજે સુરત કોર્ટમાં 11:00 વાગ્યે હાજર રહ્યા હતા. ભારત જોડો યાત્રા બાદ ગુજરાતમાં સુરત ખાતે પ્રથમ વખત આવ્યા હતા.  ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તેમના સ્વાગતની વિશેષ તૈયારી કરવામાં આવી . સ્વાગત માટે ડુમસ ચોકડી પાસે પહેલો પોઇન્ટ, વેસુ એનઆઇટી પાસે બીજો અને પૂજા અભિષેક એપાર્ટમેન્ટ પાસે ત્રીજો પોઇન્ટ બનાવવામાં આવ્યો . આ ત્રણેય પોઇન્ટ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાયુ હતું.

ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે રાહુલ ગાંધીને માત્ર રાજકીય કિન્નાખોરીથી પરેશાન કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ પ્રકારે રાહુલ ગાંધીને પરેશાન કરવામાં આવ્યા હતા. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, એટલે હજી સુધી કાર્યકર્તાઓ સાથે મળવાનો તેમનો કોઈ ઔપચારિક કાર્યક્રમ નક્કી થયો નથી. આ પ્રકારના કેસમાં ન્યાયની અપેક્ષા અમે રાખીએ છીએ.

Exit mobile version