Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં ઉનાળું વાવેતરમાં તળાજા તાલુકો મોખરે, બાજરી, તલ અને મગફળીનું વધુ વાવેતર

Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઉનાળુ વાવણીનું કાર્ય પૂર્ણ થયાને લગભગ દોઢ બે મહિના વિતી ગયા છે. સિંચાઈનું પાણી મળી રહેતા મૌલાત પણ સારીએવી જોવા મળી રહી છે. બીજાબાજુ જિલ્લાના મોટાભાગના ખેડુતો ખરીફ પાકની વાવણી માટે આગોતરી તૈયારીઓ કરી રહ્યા છે. જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકો અવ્વલ નંબરે રહયો છે. બાજરી, મગફળી અને તલનું સર્વાધિક વાવેતર થયુ છે. તાજેતરમાં સંપન્ન થયેલા ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લાના કુલ વાવેતરમાં તળાજા તાલુકાનો જ હિસ્સો લગભગ 44% જેટલો  છે. જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી, મગફળી અને તલનું તળાજામાં સૌથી વધુ વાવેતર થયુ હોવાનું જાણવા મળ્યુ છે. જેના મુખ્ય કારણમાં તળાજા વિસ્તારને શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય જિલ્લાના કુલ અંદાજિત 53,547 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજાનો હિસ્સો 23,421 હેક્ટરનો રહ્યો છે,

જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ખેતીવાડીના બારમાસી વાવેતરની દ્રષ્ટિએ ભાવનગર જિલ્લામાં ખરીફ ચોમાસુ સીઝનમાં સારા વરસાદની સ્થિતિએ સરેરાશ 4,38,000 હેક્ટરનું વાવેતર થાય છે અને ત્યારબાદ રવિ શિયાળુ સિઝનમાં અંદાજિત 1,50,000 હેક્ટરનુ વાવેતર થાય છે. ઉનાળુ ખેતીમાં  પિયત પાણીના અભાવે વાવેતર ઘટીને અંદાજિત 50 થી 55 હજાર હેક્ટરમાં થાય છે.  આ વખતે ઉનાળુ વાવેતરના પ્રારંભ થી જ સાર્વત્રિક વિષમ પ્રકારનુ વાતાવરણ છવાયેલું રહ્યુ હતું.  છેલ્લા એક થી દોઢ મહિના દરમિયાન વારંવાર થયેલા કમોસમી માવઠાના વરસાદ અને ભારે પવન અને ભેજવાળા વાતાવરણને કારણે અન્ય વિસ્તારોની જેમ જ તળાજા તાલુકામાં ઉનાળુ વાવેતરને વધતા ઓછા અંશે નુકસાન થયુ છે એટલે એકર દીઠ સરેરાશ ખેત ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ આખરી સમયમાં હાલ વાતાવરણ સુધરતુ હોય સારા ઉત્પાદનની ખેડુતો આશા રાખી રહ્યા  છે.

જિલ્લાના ખેતીવાડી અંગેના પ્રાપ્ત આંકડા મુજબ ભાવનગર જિલ્લાના કુલ 53,547 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકામાં જ 23,421 હેક્ટરનુ કુલ ઉનાળુ વાવેતર થયુ છે જેમાં મુખ્યત્વે બાજરી 4,850 હેક્ટર, મગફળી 4,212 હેક્ટર, તલ 3,774 હેક્ટર, મગ 746 હેક્ટર, અડદ 284 હેક્ટર, ડુંગળી 402 હેક્ટર, શાકભાજી 832 હેક્ટર, શેરડી 69 હેક્ટર , ઘાસચારો 8252 હેક્ટર અને મકાઈ 27 હેક્ટરનુ વાવેતર થયું છે.