Site icon Revoi.in

સોશિયલ મીડિયા પર કોરોનાની ભ્રામક માહિતી ફેલાવતા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરાઇ

Social Share

નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારી દરમિયાન સોશિયલ મીડિયા પર કોરોના મહામારીને લઇને ભ્રામક માહિતીનો જાણે રાફ્ડો ફાડ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકારે ફેસબૂક અને ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આવી પોસ્ટ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્વીટર અનુસાર તેણે ભારત સરકારના નિર્દેશ પ્રમાણે કાર્યવાહી કરી છે અને તેવા એકાઉન્ટ હોલ્ડર્સને સૂચિત કરવામાં આવ્યા છે. આવી પોસ્ટ્સમાં ભ્રામક માહિતી આપવામાં આવી હતી અને તેને એવી રીતે તૈયાર કરાઇ હતી જેને લીધે લોકોમાં ભયનો માહોલ પેદા થાય.

આ અંગે ટ્વીટરના પ્રવક્તાએ કહ્યું હતું કે, જ્યારે એક ઉચિત કાયદાકીય આગ્રહ થાય છે ત્યારે અમારી ટીમ સંબંધિત પોસ્ટની ટ્વીટરના નિયમો તેમજ સ્થાનિક કાયદા એમ બંને હિસાબથી સમીક્ષા કરે છે. જો કન્ટેન્ટમાં ટ્વીટરના નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો તેને દૂર કરી દેવામાં આવે છે. જો કન્ટેન્ટ ખાસ ન્યાયાધિકારની રીતે ગેરકાયદેસર હોય પરંતુ ટ્વીટરના નિયમોની વિરુદ્વ ના હોય તો તે કન્ટેન્ટને ફક્ત ભારતમાં દેખાતું અટકાવી દે છે.

લ્યૂમેન ડેટાબેઝના અહેવાલ પ્રમાણે ભારત સરકારના આગ્રહને માન આપીને ટ્વીટરે 50થી વધારે પોસ્ટ દૂર કરી છે. તેમાં એક સંસદ સભ્ય, ધારાસભ્ય અને ફિલ્મ નિર્માતાઓની ટ્વીટનો પણ સમાવેશ થાય છે.

મહત્વનું છે કે, ટ્વીટરના કહેવા પ્રમાણે તેણે આ કાર્યવાહી કરતા પહેલા તમામ એકાઉન્ટ હોલ્ડર્સને જાણકારી આપી હતી જેથી તેમને આ પગલું ભારત સરકારના કાયદાકીય આગ્રહને વશ થઈને લેવામાં આવ્યું હોવાની ખબર પડે.

(સંકેત)