Site icon Revoi.in

વડોદરાના કમાટી બાગનો 110 વર્ષ જુનો બ્રિજ લોકોની અવર-જવર માટે બંધ કરાયો

Social Share

વડોદરાઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગના આશરે 110 વર્ષ જુના ઐતિહાસિક બ્રિજ ને છેલ્લા એક અઠવાડિયાથી બગીચામાં આવતા જતા લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કમાટીબાગમાં પક્ષીઘરથી વાઘખાના તરફ જતો આ ગાયકવાડી શાસન વખતનો ઐતિહાસિક બ્રિજને  મ્યુનિ.કોર્પોરેશનના બ્રીજ પ્રોજેક્ટ વિભાગ તરફથી સૂચના આપતા બંધ કરાયો છે. હાલમાં આ બ્રિજના બંને છેડે લોખંડની બેરી કેડ લગાવી દેવામાં આવી છે.

વડોદરાનો કમાટીબાગ એ રાજ્યભરમાં જાણીતો છે. કોઈપણ લોકો વડોદરા શહેરની મુલાકાતે આવે કે કમાટીબાગની મુલાકાત લેવાનું ભુલતા નથી. કમાટીબાગમાં રાજાશાહી વખતો ઐતિહાસિક બ્રિજ આવેલો છે. આ બ્રિજ 110 વર્ષ જુનો છે. થોડા સમય પહેલા આ બ્રિજ પર ડામર કામ પણ કરવામાં આવ્યું હતું, અને તેની રેલિંગ બદલીને નવી નાખવામાં આવી હતી.પરંતુ હાલ ચોમાસાનો માહોલ છે. વિશ્વામિત્રી નદીમાં પાણીની વધઘટ થયા કરે છે. નદીમાં પાણી આવે એટલે લોકો મોટી સંખ્યામાં વિશ્વામિત્રીનો નજારો જોવા માટે આ બ્રિજ પર ઉભા રહે અને તેના કારણે પણ જોખમ સર્જાઇ શકે તેમ હોવાથી આ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કમાટીબાગના આ બ્રિજને લોકો માટે આવજા કરવા અનસેફ જણાયો હોય તો પછી અહીં રિનોવેશન માટે ખર્ચો કરવાની કોઈ જરૂર ન હતી. લોકોને હવે પક્ષીઘરમાંથી વાઘ સિંહ જોવા જવું હોય તો દોઢ કિલોમીટર ફરીને જવું પડશે. જોકે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાલ બાગમાં આવતા મુલાકાતીઓ માટે કેબલ બ્રિજ પરથી જવા માટે ડાઈવર્ઝન અપાયું છે. એક સામાજિક કાર્યકરના કહેવા મુજબ અહીં એવી સૂચના મુકાઈ છે કે ભારદારી વાહનો માટે આ બ્રિજ બંધ છે, પરંતુ અહીં કોઈ ભારદારી વાહનો પસાર થતા જ નથી. બ્રિજ માત્ર રાહદારીઓને પસાર થવા પૂરતો નબળો જણાતો નથી. ખરેખર તો શહેરમાં બીજા જર્જરીત બનેલા પુલ છે, કોર્પોરેશનને તેની મજબૂતાઈ તરફ ધ્યાન આપવાની જરૂરત છે.

મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોના કહેવા મુજબ આ બ્રિજ આશરે 110 વર્ષ જૂનો છે. હાલ ચોમાસાનો માહોલ છે. વિશ્વામિત્રી નદીમાં પાણીની વધઘટ થયા કરે છે. નદીમાં પાણી આવે એટલે લોકો મોટી સંખ્યામાં વિશ્વામિત્રીનો નજારો જોવા માટે આ બ્રિજ પર ઉભા રહે અને તેના કારણે પણ જોખમ સર્જાઇ શકે. લોકોને એક દોઢ કિલોમીટર ભલે ફરીને જવું પડે, પણ લોકોની સલામતી એ અગત્યની છે. 110 વર્ષ જૂનો બ્રિજ હોય એટલે સ્વાભાવિક છે કે તેનું સ્ટ્રક્ચર નબળું પડ્યું હોય. સલાહકાર દ્વારા પણ કામચલાઉ ધોરણે  બ્રિજ બંધ રાખવા કહ્યું છે. દર બે-ત્રણ મહિને બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે.