Site icon Revoi.in

જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા 13મો વાર્ષિક સંકુલ એવોર્ડ એનાયત કરાયો

Social Share

અમદાવાદઃ  રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સ્થાપિત 13th  ઈનોવેશન સંકુલ એવોર્ડ સમારોહ  તાજેતરમાં યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂતના મુખ્ય મહેમાનપદે અને કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરના અધ્યક્ષપદે યોજાયો હતો.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સને 2011ની 14મી ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ઔદ્યોગિક સંશોધન યાત્રાની શરૂઆત થઈ હતી. તેના સ્મરણમાં દરવર્ષે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઈનોવેશન કાઉન્સિલ 14મી ફેબ્રુઆરીએ ‘વાર્ષિક ઈનોવેશન સંકુલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં અસાધારણ યોગદાન આપનારાઓ, ફેકલ્ટી સભ્યો, ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને ઈનોવેશનના ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં તેમના નોંધપાત્ર પ્રયાસો માટે માન્યતા અને સન્માન આપવામાં આવે છે. GTU ઇનોવેશન કાઉન્સિલ દર વર્ષે આ દિવસની ઉજવણી ઇનોવેટર્સને સન્માન કરવા અને ઇનોવેશનને પ્રેરણા આપવાનો માટે કરે છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે બુધવારે યોજાયેલા ગરિમાપૂર્ણ સમારોહમાં પ્રારંભમાં દીપ પ્રાગટ્ય બાદ સ્વાગત પ્રવચન કુલસચિવ ડો.કે.એન.ખેરે કર્યું હતું. ત્યાર બાદ ઈનોવેશન કાઉન્સિલની પ્રવૃત્તિઓનો અહેવાલ GIC ના સી.ઈ.ઓ ડો. તુષાર પંચાલ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો તેમજ નવા સ્ટાર્ટઅપની જાહેરાત કરવામાં આવી હતી.આ ઉપરાંત કેન્દ્ર સરકારનાં પુરસ્કારથી રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયેલા પ્રા.ડો.સત્યરાજન આચાર્ય અને પ્રા.સુશ્રી ઝંખના દિ.મહેતાનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલા રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા થઈ રહેલું આ કાર્ય વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનવા તરફ જરૂર દોરી જશે. અધ્યક્ષપદેથી કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરે જણાવ્યું હતું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઈનોવેશન કાઉન્સિલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની આજ અને આવતીકાલની સતત ચિંતા કરે છે તે અમારા માટે ગૌરવની વાત છે. અંતમાં આભારવિધિ યુનિવર્સિટીના સલાહકાર ડો.મિહિર શાહે કરી હતી