~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
પારિવારિક અને રાષ્ટ્રીય કલ્યાણ માટે સમર્પિત આપણા દેશના બે પૂજનીય વ્યક્તિત્વો જૈન તેરાપંથ સંપ્રદાયના દસમા આચાર્ય ,ફિલોસોફી અને ધર્મના પૂજનીય વિદ્વતજન, ધર્મ, શાંતિ અને સાંપ્રદાયિક એકતા માટે આજીવન તપ કરનારા તપસ્વી પૂજ્ય શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ અને ભારત રત્ન તથા રાષ્ટ્રકલ્યાણ માટે યુવા હૈયાઓ ને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સંકલ્પોથી છલોછલ કરનારા સર્વપ્રિય પીપલ્સ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ ડૉ એ પી જે અબ્દુલ કલામે પારિવારિક અને રાષ્ટ્રીય આધ્યાત્મિક એકત્વના બીજ રાષ્ટ્રના હ્ર્દયમાં રોપવા ના શુભ આશયથી વર્ષ ૨૦૦૮ માં એક અદ્ભૂત પુસ્તક નું સર્જન કર્યું ! સશક્ત અને સુખી પરિવારના માધ્યમથી આપણા રાષ્ટ્રને એક ઉમદા રાષ્ટ્ર તરીકે પુનઃજન્મ આપવા “પરિવાર અને રાષ્ટ્ર” નામના પુસ્તકનું જનકલ્યાણ અર્થે સર્જન કર્યું ! જે રાષ્ટ્રનિર્માણ માટે આપણને કાયમ માર્ગદર્શન આપતું રહેશે !
૨ ઓગસ્ટ ૨૦૦૫ ના દિવસે આ બંને દિવ્ય વિભૂતિઓ એ પરિવાર અને રાષ્ટ્રનો વિકાસ કરી , શાંતિ પૂર્ણ , સુખી અને સમૃદ્ધ સમાજની રચના કરવા આ પુસ્તક ને જન્મ આપ્યો ! ખાસ આ પુસ્તકનું ખુબ સુંદર અને સહજ ભાષામાં અને ઓછા શબ્દોમાં આલેખન આપણા મન હ્ર્દયને સ્પર્શે એવું છે . પરિવાર કલ્યાણ અને રાષ્ટ્ર કલ્યાણની રસપ્રદ અને હકારાત્મકતાથી ભરપૂર વાતને અનુક્રમણિકા સ્વરૂપે છ ભાગોમાં વિભાજીત કરી છે ૧. ભારતીય સંસ્કૃતિનું ગતિ શાસ્ત્ર ૨. ઉત્ક્રાંતિ ક્રિયા અને દુઃખ ૩. એકતા નો ખ્યાલ ૪. તંદુરસ્ત વ્યક્તિઓનું સર્જન ૫. સુંદર ઘરનો જન્મ ૬.ઉમદા રાષ્ટ્રનો જન્મ આ તમામ વિભાગોમાં આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસના અનુભવોમાંથી પરિવારના કલ્યાણથી રાષ્ટ્રનું કલ્યાણ કઈ રીતે થઇ શકે એવા ઊંડાણ પૂર્વક ના લેખો છે માર્ગદર્શક સૂચનો છે દરેક લેખની શરૂઆતમાં પ્રભુ મહાવીર,, મહાત્મા ગાંધી , સંત ફ્રાન્સિસ જેવી વિશ્વ વિભૂતિઓ ના સદવિચારો છે. અને ખાસ અમુક લેખોના અંતમાં પૂજ્ય શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ તથા અબ્દુલ કલામના સંવાદો છે પુસ્તક હ્ર્દયથી વાંચતા એમ અનુભવાશે કે આચાર્ય મહાપ્રજ્ઞ અને અબ્દુલકલામ આપણી સામે બેસીને વાતો કરી રહ્યા હોય અને આપણે એ સાંભળવામાં મગ્ન હોઈએ ! ” તંદુરસ્ત વ્યક્તિઓનું સર્જન કઈ રીતે થઇ શકે એની બહુ ઝીણવટ પૂર્વક ની સમજ આપણે સરળતાથી આ પુસ્તક દ્વારા મેળવી શકીશું . આત્મસંયમ,અભયતા, નિયમન સમતોલ જ્ઞાનતંત્ર ની પ્રણાલી, જૈવિક રસાયણ નું સમતોલન , સચ્ચરિત્ર , ન્યાય પૂર્ણ સમાજ જેવા અનેક સુંદર વિષયો ને આવરીને આ પુસ્તક વાચકોને આત્મવિકાસ કરવા માટે પ્રેરે છે વ્યક્તિ નિર્માણ માટે બંને લેખકો એ પોતાના સ્વાનુભવો સાથે સંયુક્ત પરિવારની પરંપરા પર ભાર મુકતા પરિવાર એક સંસ્થા , અનેકાંત નું તત્વજ્ઞાન , સ્વરાજ્ય , પારસ્પરિક આધીનતા ,સમાધાન અને મેળ , નિયમન , અહિંસાથી મુક્તિ , શાબ્દિક હિંસા , મમત્વ નો દુર્ગુણ , અસહિષ્ણુતા , ચિંતન અને સમાધાન , ભાવનાઓ નું શુદ્ધિકરણ , શાંતિ નું રહસ્ય જેવા ખુબ નાજુક વિષયો પર માર્ગદર્શક લેખો આપીને ઘર ને જ સ્વર્ગ બનાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે આપણે આશા રાખીએ કે આ પુસ્તક ના વિચાર બીજ યુવાભારત ને ભારત ને વિશ્વ ગુરુ બનાવવા માટે અનંત કાળ સુધી પ્રેરણા આપતા રહેશે અને પુસ્તક માં છેલ્લે બને લેખકો પોતાના દિવ્ય વિચારો વહેંચી ને દિવ્ય ભારત ના નિર્માણ નો શંખ ફૂંકે છે ..આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે રાષ્ટ્રયત્નથી આ બંને મહામાનવો ના વિચારો અક્ષરસહ આપણા દેશ માટે સાચા પડે
“આત્મા મારો ભગવાન છે ,
ત્યાગ મારી પ્રાર્થના છે ,
મિત્રતા મારી ભક્તિ છે,
સંયમ મારી શક્તિ છે ,
અહિંસા મારો ધર્મ છે ,”
– આચાર્ય મહાપ્રજ્ઞ
“અમારું લક્ષ : લોકો નું સ્વચ્છ, લીલા વાતાવરણમાં જીવન , ગરીબી વગરની સમૃદ્ધિ , યુદ્ધના ભય વગરની શાંત જિંદગી , એવી જગ્યા , જે દરેક નાગરિક માટે , સુખમય હોય , એવો દેશ.”
– ડો એ .પી જે અબ્દુલ કલામ
પુસ્તક : પરિવાર અને રાષ્ટ્ર
લેખક : આચાર્ય મહાપ્રજ્ઞ , રાષ્ટ્રપતિ ડૉ એ પી જે અબ્દુલ કલામ
પ્રકાશક : શ્રી ગજાનન પુસ્તકાલય ટાવર રોડ સુરત, રુદ્ર પબ્લિકેશન અમદાવાદ