Site icon Revoi.in

પોરબંદરના ઐતિહાસિક દુલીપ ક્રિકેટ સ્કુલની જર્જરિત હાલત, અને સ્ટેડિયમમાં પણ સુવિધાનો અભાવ

Social Share

પોરબંદર :  ક્રિકેટના ઈતિહાસમાં પોરબંદરનું નામ પણ અંકિત થયેલુ છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કપ્તાન રહેલા પોરબંદરના રાજવી નટવરસિંહજીએ પોરબંદર ખાતે રાજ્યની પ્રથમ ક્રિકેટની તાલીમ આપતી દુલીપ ક્રિકેટ સ્કુલની શરુઆત કરી હતી. આશરે 75 વર્ષ જુના આ ઐતિહાસિક દુલીપ સ્કૂલની હાલ જર્જરિત હાલત છે. સ્ટેડિયમની હાલત પણ બદતર છે.

પોરબંદરના પ્રજાવત્સલ મહારાણા નટવરસિંહજી ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ કપ્તાન પણ રહી ચુક્યા છે. પોરબંદરના ઉભરતા યુવા ક્રિકેટરોને પ્લેટફોર્મ મળી રહે તેવા ધ્યેય સાથે રેલ્વે સ્ટેશન રોડ પર 7 જુન 1947ના રોજ દુલીપ ક્રિકેટ સ્કુલનુ મહારાણા નટવરસિંહજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આશરે 75 વર્ષ જુના આ દુલીપ ક્રિકેટ સ્કુલનુ સંચાલન હાલમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવી રહ્યુ છે. અહી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આવેલુ છે. જે ગ્રાઉન્ડનુ છેલ્લા થોડા વર્ષોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના આ દુલીપ ક્રિકેટ સ્કુલમાં 150થી વધુ બાળકો ક્રીકેટની તાલીમ મેળવી લઇ રહ્યા છે.  ડિસ્ટ્રીક રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા સરકારની પે એન્ડ પ્લે યોજના અંતર્ગત માત્ર 500 રૂપિયા જેવી ફી લઇ અહીં બાળકોને ક્રિકેટની તાલીમ આપવામાં આવી રહી છે. દુલીપ ક્રિકેટ સ્કુલ પોરબંદર માટે ઐતિહાસિક ધરોહર સમાન હોવા છતાં અહીં જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જરુરી સુવિધાઓની ઉણપ હોવાનું સામે આવી રહ્યું છે. અહીંનુ પેવેલીયન જર્જરીત હાલતમાં છે. બાળકોને સિમેન્ટની વિકેટમાં પ્રેક્ટિસ કરવી પડે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરમે ક્રિકેટ સ્ટેડિયમમાં સિન્થેટિક સર્ફેસ સહિતની સુવિધા ઉભી કરવા  પ્રેક્ટિસ માટે આવતા ખેલાડીઓએ માંગ કરી રહ્યા છે. પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ આ અંગે જવાબદાર તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી છે. જેથી અહીં ક્રિકેટની તાલીમ લેવા આવતા ખેલાડીઓને યોગ્ય તાલીમ મળે અને તેઓ આગળ વધી શકે છે. આટલા વર્ષો પૂર્વે પણ આધુનિક સુવિધાઓ અને ટેકનીકને ધ્યાને રાખી બનાવવામાં આવેલ દુલીપ ક્રિકેટ સ્કુલની ગણના એશિયામાં બેસ્ટ ક્રિકેટ સ્કુલ તરીકે થાય છે ત્યારે આ ઐતિહાસિક સ્કુલને ફરીથી તે જ માન સન્માન મળે તે માટે અહીં જરૂરી તમામ સમારકામ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે ક્રીકેટ પ્રેમીઓએ  રજુઆતો કરી છે.

દુલીપ ક્રિકેટ સ્કુલના જિલ્લા રમત અધિકારીએ જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તમામ જરુરી પગલાંઓ ભરી વહેલીતકે આ દુલીપ ક્રિકેટ સ્કુલમાં જરુરી સિન્થેટિક સર્ફેસ વાળી વિકેટ તેમજ હાર્ડ વિકેટ અને ઐતિહાસિક જે પવેલીયન છે તેની કામગીરી માટે આરએમબીના અધિકારીઓને સ્થળ પર બોલાવી જરુરી સર્વે સહિત એસ્ટિમેટ વડી કચેરીએ મોકલાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, યુવા ક્રિકેટરોને તાલીમ આપતી દુલીપ ક્રિકેટ સ્કુલને આજે 75 વર્ષથી વધુ સમય થયો છે ત્યારે સરકાર દ્વારા આ સ્કુલને જરુરી સુવિધાઓથી સજ્જ કરવામાં આવે તે જરુરી છે. આ સ્કુલમાથી ટ્રેનીગ લઇ પોરબંદરના જયદેવ ઉનડકટ સહિતના અનેક ક્રિકેટરો આગળ વધ્યા છે. ત્યારે આગામી સમયમાં પણ સ્થાનિક પ્રતિભાસંપન્ન ખેલાડીઓને યોગ્ય મળી રહે અને ભવિષ્યમાં તેઓ એક સારા ક્રિકેટર બની પોરબંદર તેમજ દેશનું નામ રોશન કરી શકે તે માટે આ પ્રકારની સ્કુલને જરૂરી સુવિધાઓ મળે તે જરુરી છે.