Site icon Revoi.in

શાળાઓમાં પ્રથમ સત્ર પૂર્ણ થઈ ગયું હોય હવે ધો. 9થી 12ના વર્ગોમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હળવું થઈ જતાં સરકારે ધો. 9થી 12ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી આપી હતી. આ વર્ષે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કોરોનાને લીધે શિક્ષણ કાર્ય વિલંબથી શરૂ કરાયું હતું. માસ પ્રમોશન બાદ ધોરણ 9થી 12માં પ્રવેશ આપવામાં શિક્ષણ બોર્ડે મુદ્દત વધારી આપી હતી. પરંતુ હવે દિવાળીનું વેકેશન શરૂ થતાં પહેલાં પ્રથમ પરીક્ષા પૂર્ણ થઈ છે. જેથી હવે સ્કૂલોમાં પ્રથમ સત્ર પણ પૂર્ણ થયું છે. પ્રથમ સત્ર પૂર્ણ થતાં હવે ધોરણ 9થી 12માં પ્રવેશ હવે બંધ કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર સુધી પ્રવેશ માટે આવેલી અરજીને જ માન્ય ગણવામાં આવશે. હવે પછી અરજી કરનારા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ નહીં મળી શકે. તેવું શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 20 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ આપવામાં આવ્યા હતાં. પરંતુ ત્યાર બાદ પણ બોર્ડની કચેરીએ વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની અરજીઓ પહોંચતી હતી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા 31 ઓક્ટોબર સુધી પ્રવેશ માટે મંજુરી આપવામાં આવી હતી. પ્રથમ સત્ર શરૂ થયા બાદ હવે સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ દિવાળીનું વેકેશન પણ શરૂ થઈ ગયું છે. પ્રથમ પરીક્ષા પૂર્ણ થતાં સત્ર પણ પૂર્ણ થયું હોવાથી હવે પ્રવેશ આપવામાં આવે તો વિદ્યાર્થી અગાઉના અભ્યાસથી વંચિત રહી જાય. જેથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જીલ્લા શિક્ષણઅધિકારીને પત્ર લખીને જાણ કરી છે કે કોઈ પણ વિદ્યાર્થી હવે પ્રવેશ માટે આવે તો તેને બોર્ડની ઓફિસે મોકલવા નહીં. 31 ઓક્ટોબર પછી અરજી કરનારને પ્રવેશ આપવામાં આવશે નહીં.

Exit mobile version