Site icon Revoi.in

ગુજરાત ભાજપના નેતાને આપ સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું, પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ

Social Share

અમદાવાદઃ ગુજરાત ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. અને એટલે જ પાર્ટી લાઈન ક્રોસ કરાવામાં કાર્યકર્તાઓથી લઈને નેતાઓ ડરતા હોય છે. ભાજપમાં અશિસ્ત દાખવનારાને સસ્પેન્ડ કરવાના નિર્ણયો પણ ઝડપથી લેવાતા હોય છે. ભાજપના જિલ્લા પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીને આમ આદમી પાર્ટી સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું છે. કિશનસિંહએ પંજાબના સીએમ અને આપ’ના નેતા ભગવંતસિંહ માન સાથે સેલ્ફી લઈને સોશ્યલ મીડિયામાં ફોટો વાયરલ કરતાં તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ભાજપ દ્વારા પોતાના જ એક નેતાને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાનો હુકમ કમલમ કાર્યાલયમાંથી કરવામાં આવ્યો હતો. કિશનસિંહ સોલંકીને પક્ષમાં 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. કિશનસિંહ સોલંકીએ ગેરશિસ્ત કરી હોવાનો આ પહેલો પ્રસંગ નથી. ભૂતકાળમાં પણ તેમણે કેન્સવિલે ખાતે સંગઠનના નેતાઓ સાથે માથાકૂટ કરીને ગેરશિસ્ત કરી હતી. જે-તે સમયે તેમને પક્ષની કામગીરીથી દૂર કરાયા હતા. ત્યારબાદ ફરીથી  આ ઘટના બનતા  પક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.

કિશનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કેન્સવિલે ખાતે છાશથી શરૂ થયેલી માથાકૂટ આજે ફોટો પર આવીને અટકી છે. જે ફોટો મૂક્યો છે તે તો વર્ષ 2014માં પાર્લામેન્ટ ખાતે લીધેલો ફોટો છે. હું ભાજપ સાથે તન, મન અને ધનથી જોડાયેલો છું. મારા મત આપવાનો અધિકાર તો આ લોકો છીનવી નહીં શકે. મારી રાજકીય કારકિર્દીને નુક્સાન પહોંચાડવાનું કામ મારા જ મિત્રોએ કર્યું છે.