Site icon Revoi.in

ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવાની કાર્યવાહી પણ હવે ફરજિયાત ઓનલાઇન કરાઈ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વધુ પારદર્શક વહીવટ માટે ટેકનોલોજીની મદદથી ડીજીટાઈઝેશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવા અંગેની કાર્યવાહી જે મેન્યુઅલ કરવામાં આવતી હતી તેને હવે ફરજિયાત ઓનલાઇન e-Auction Portal Application મારફતે હાથ ધરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ, 1950 હેઠળ નોંધાયેલા ટ્રસ્ટોના વહીવટના નિયમન કરવા અંગેની કામગીરી ચેરિટીતંત્ર કરે છે. અત્યાર સુધી ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ, 1950ની કલમ-36 હેઠળ ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવા અંગેની કાર્યવાહી મેન્યુઅલ કરવામાં આવતી હતી. આ કાર્યવાહીને લીધે તંદુરસ્ત સ્પર્ધાને અભાવે સિન્ડિકેટ થવાની, ઇજારાશાહી વધવાની તથા સ્પર્ધાત્મક ભાવ ન મળવાની શકયતાઓ રહેતી હતી. જેથી આ કાર્યવાહી વધુ પારદર્શક પધ્ધતિથી અને પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે કલમ-36 હેઠળની કાર્યવાહી કે જે હાલ મેન્યુઅલી ક૨વામાં આવતી હતી તેના બદલે આ કાર્યવાહી e-Auction Portal Application મારફતે ફરજીયાત હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

મંત્રીએ કહ્યું કે, આ અંગે કાયદા વિભાગ દ્વારા ઠરાવ કરી e-Auction Portal Application મારફતે કાર્યવાહી હાથ ધરવા ઠરાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, આ ઠરાવ અગાઉ કલમ-36 હેઠળની આપેલી જાહેરાત કે જે અન્વયેની પ્રક્રિયા પૂર્ણ થયેલી નથી તેવી જુદી-જુદી કચેરીઓમાં કુલ-257  અરજીઓ પેન્ડીંગ સ્થગિત કરી નવેસરથી e-Auction Portal Application મારફતે જ કાર્યવાહી હાથ ધરવા ચેરીટી કમિશનરને સૂચના આપવામાં આવી છે.