Site icon Revoi.in

ગુજરાતમાં સતત બીજા વર્ષે પ્રતિકૂળ હવામાનને લીધે કેસર કેરીના પાકને ફટકો પડશે

Social Share

જુનાગઢઃ ગુજરાતમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્રતિકૂળ વાતાવરણને લીધે કેસર કેરીના પાકને અસર થઈ છે. જેના લીધે ઉત્પાદમાં ઘટાડો થતાં આ વર્ષે કેસર કેરીના ભાવ વધુ રહે તેવી શક્યતા છે. હાલ દિવસ અને રાત્રીના તાપમાનમાં ભારે તફાવત અને કમોસમી વરસાદ સાથે આ અઠવાડિયે ભીના હવામાનની આગાહી છે. જેના કારણે જૂનાગઢ અને અમરેલીના બગીચાઓમાં ફળ ઉગાડવાની પ્રક્રિયાને ખરાબ રીતે અસર થઈ છે. જ્યાં કેસર કેરીની ખેતી કરવામાં આવે છે. એટલે આ વર્ષે કેસર કેરીનો સપ્લાય પણ ઘટે એવી શક્યતાઓ રહેલી છે.
કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  વર્ષ  2022ની સરખામણીમાં ઉત્પાદન 25-30 ટકા ઓછુ થઈ શકે છે. કારણ કે 2021ના ચક્રવાત તૌકતેના કારણે મોટી સંખ્યામાં બગીચાઓને નષ્ટ કરી નાખ્યા હતા.જેના લીધે 2002માં કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આ વર્ષે ગુણવત્તાયુક્ત કેસર કેરી માટે લોકોએ મે મહિનાના મધ્ય સુધી રાહ જોવી પડશે.

તલાલા ગીર માર્કેય યાર્ડના સૂત્રોના કહેવા મુજબ  આ સિઝનમાં કેસર માટે હવામાન બિલકુલ અનુકૂળ નથી. આંબાઓ પર ડિસેમ્બર મહિનામાં ફૂલ આવ્યા હતા, તેમાં ફળ ઉગવાની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે જે ઝાડ પર જાન્યુઆરી મહિનામાં ફૂલ આવ્યા હતા, તે ખરાબ થઈ ચૂક્યા છે. કેટલોક પાક ખરાબ વાતાવરણના કારણે તો કેટલોક પાક બીમારીના કારણે બરબાદ થઈ ચૂક્યો છે.  શિયાળામાં તાપમાન 25-30 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે રાત્રીનું તપામાન 10-12ડિગ્રીની આસપાસ રહ્યું હતું. દિવસ-રાત્રીના તાપમાનમાં ઉતાર ચઢાવ 10 ડિગ્રીથી વધારે ન હોવું જોઈએ. જો કે, ડિસેમ્બરના અંતમાં શિયાળો શરુ થયો હતો અને એ પછી પડેલી ઠંડીના કારણે ફૂલોને નુકસાન થયુ હતુ. ફેબ્રુઆરી મહિનામાં પણ આવું જ વાતાવરણ રહ્યું હતું. તાજેતરમાં જ અમરેલી અને જૂનાગઠના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેની અસર કેરીના પાક પર થઈ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  કેસર કેરીના બોક્સ કે જે મે મહિનાના પ્રારંભથી બજારમાં આવી શકે છે. તે કેરીઓને વહેલી પકાવવા માટે હોર્મોન્સનો ઉપયોગ કર્યો હતો. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની હોર્ટીકલ્ચર કોલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ફ્રૂટ સાયસન્સના ડી.કે. વારૂના કહેવા મુજબ  નુકસાનનો અંદાજ કાઢવો એ વહેલો છે. પરંતુ શીત લહેર અને કમોસમી વરસાદે ચોક્કસથી કેટલાંક વિસ્તારોમાં પાકને નુકસાન પહોંચાડ્યું છે. જે 40 ટકા આંબા પર નવેમ્બર-ડિસેમ્બરમાં ફૂલ આવ્યા તેમાં વધારે કોઈ મુશ્કેલી નથી. પરંતુ જે ઝાડ પર ફેબ્રુઆરી મહિનામાં ફૂલ આવ્યા તે ઉંચા તાપમાનના કારણે ખરાબ થઈ ગયા છે. કેટલાંક બગીચા એવા છે કે જ્યાં જૂન સુધીમાં કેસર કેરી તોડી શકાય એમ છે, પરંતુ ચોમાસાની શરૂઆત અન્ય પાકને નુકસાન પહોંચાડી શકે છે. ગીર ગઢડાના ખેડૂતે જણાવ્યું કે, કેરીની ખેતીને બે ભાગમાં વહેંચવામાં આવી છે. દરિયાઈ તટની નજીકનો પાક એક બીમારીના કારણે પ્રભાવિત થયો છે. જ્યારે જંગલ વિસ્તારના પાકને કોઈ અસર થઈ નથી.