Site icon Revoi.in

ગુજરાતના વન કર્મચારીઓની બે માંગણીઓ સરકારે સ્વીકારી લેતા હડતાળ પાછી ખેંચાઈ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના વન કર્મચારીઓ પોલીસ કર્મચારીઓની જેમ પે-ગ્રેડ આપવા સહિતની વિવિધ માગણીઓના ઉકેસ માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા હતા. ત્યારે સરકારે વન કર્મચારીઓની બેમાગણીઓ સ્વીકારી લઈને તેમને મનાવી લીધા છે. અને હડતાળ પરત ખેંચી લેવાતા આજે ગુરૂવારથી વન કર્મચારીઓ ફરજ પર હાજર થઈ જશે.

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રચાયેલી મંત્રીઓની કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં મંડળના હોદ્દેદારો સાથે ચર્ચા વિમર્શ કરી તેમની બંને મહત્વની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મંડળની મુખ્ય માંગણીઓ જાહેર રજાના દિવસોમાં બજાવેલી ફરજનો રજા પગાર તેમજ વોશિંગ એલાઉન્સની માગણીઓનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. તે ઉપરાંત જે નીતિવિષયક બાબતો છે તે અંગે કર્મચારીના હિતને લક્ષમાં રાખીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે એવું પણ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, વનરક્ષક કર્મચારી મંડળની આ બે માગણીઓ ખૂબ જ જૂની હતી અને આજે રાજ્યના મુખ્યમંત્રીએ તેમની માગણીઓને સમર્થન આપી એક ઐતિહાસિક પળનું નિર્માણ કર્યું છે, તેવું મંડળે પણ સ્વીકાર્યું છે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, આ મંડળ દ્વારા તેમની આ બંને માગણીઓ સ્વીકારવાની સાથે જ તેઓ છેલ્લા થોડા સમયથી હડતાળ ઉપર હતા તે હડતાળ તેમણે તાત્કાલિક ધોરણે મોકૂફ રાખી છે અને તેઓ પોતાની ફરજ ઉપર હાજર થશે તેવું પણ જણાવ્યું હતું. મંડળ સાથેના સમાધાનનો વનરક્ષક કર્મચારી મંડળના પ્રમુખ  પ્રવીણસિંહ વી ચૌહાણે પણ સ્વીકાર કર્યો છે અને તેઓના મંડળના સર્વે સભ્યો આવતીકાલથી પોતાની ફરજ ઉપર હાજર થશે તેમ જણાવ્યું છે.