Site icon Revoi.in

વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ 12મી નવેમ્બરથી યોજાશે

Social Share

મહેસાણાઃ  જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઊજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે તારીખ 12 અને 13 નવેમ્બરે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 6 કલાકથી તાના-રીરી મહોત્સવ તાના-રીરી ઉદ્યાન ખાતે યોજાશે. આ મહોત્સવમાં 12 તારીખે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેશે. તેમજ 12 તારીખે કવિતા કૃષ્ણમુર્તિ મુંબઇ દ્વારા શાસ્ત્રીય ગાયન, વિરાજ અમર ભટ્ટ અમદાવાદ દ્વારા શાસ્ત્રીય ગાયન તેમજ એલ સુબ્રમણ્યમ મુંબઇ દ્વારા વાયોલીનની પ્રસ્તુતી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે યોજાતા આ તહેવારની ઉજવણી આ વર્ષે પણ ગરીમાપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં તાના-રીરી સમાધિ સ્થળ ખાતે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરે વિવિધ કમિટીઓના અધિકારીઓ સાથે સંકલન સાધી તમામ તૈયારીઓ માટે વિગત ચર્ચા કરી હતી. આગામી તા.13મીને શનિવારે સાંજે યોજાનારા તાના-રીરી મહોત્સવમાં નીરજ પરીખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવ ગાન, પંડીત વિશ્વ મોહન ભટ્ટ અને વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ, રાકેશ ચૌરસીયા મુંબઇ દ્વારા બાસુરી અને સિતાર જુગલબંધીની પ્રસ્તુતિ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તાના-રીરી મહોત્સવમાં દર વર્ષે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ મુખ્યંત્રીના હસ્તે આપવામાં આવશે. કવિતા કિર્ષ્ણમુર્તિ અને વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આ એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડમાં પ્રત્યેક વિજેતાને રૂપિયા 2 લાખ 50 હજારનો ચેક, શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવશે

તાના-રીરી મહોત્સવને લઈ જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં તાના-રીરી સમાધિ સ્થળ ખાતે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરે વિવિધ કમિટીઓના અધિકારીઓ સાથે સંકલન સાધી તમામ તૈયારીઓ માટે વિગત ચર્ચા કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, નાયબ માહિતી નિયામક પારૂલબેન મણીયાર સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (file photo)