Site icon Revoi.in

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 126 મીટરે પહોંચી, દર કલાકે 12 સે,મી.નો થતો વધારો

Social Share

રાજપીપળાઃ ગુજરાતની જીવીદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમની સપાટી 126 મીટરને વટાવી જતાં રિવરબેડ પાવર હાઉસ કાર્યરત કરાયા છે. જેના લીધે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

સરોવર-નર્મદા ડેમ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરના કહેવા મુજબ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સોમવારે 126.66 મીટરને વટાવી ગઈ હતી. દર કલાકે 10 થી 12 સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યોં છે. જ્યારે ડેમમાં 1.30 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 6101.32 મિલીયન ક્યુબીક મીટર નોંધાયેલ છે. છેલ્લા એક સપ્તાહથી હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.

સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એક સપ્તાહથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે હતી. હાલમાં છેલ્લા દસેક દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂાપિયા 4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળું એક કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં 0.5 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે તેમજ દરરોજ સરેરાશ રૂા. 10 લાખની કિંમતનુ 0.5 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ 3,500 ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

Exit mobile version