Site icon Revoi.in

ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરમાં 20મી માર્ચે પક્ષાલન વિધિને લીધે આઠ કલાક દર્શન બંધ રહેશે

Social Share

ખેડબ્રહ્માઃ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા સુપ્રસિદ્ધ અંબિકા માતાજીના મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રી શરૂ થવાને કારણે 20 માર્ચના રોજ ભક્તોના દર્શન આઠ કલાક બંધ રાખવામાં આવશે. આ દરમિયાન પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે જેને લઈને મંદિરના ટ્રસ્ટ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીનું  સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે, યાત્રા ધામ અંબાજી નજીક હોવાથી જે યાત્રાળુઓ અંબાજી દર્શન માટે  જાય ત્યારે ખેડબ્રહ્માના અંબિકા માતાજીના દર્શને અવશ્ય આવતા હોય છે. અંબિકા માતાજીના મંદિરમાં આસો અને ચૈત્ર માસની બે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીમાં પૂજન અર્ચન સાથે ઘટ્ટ સ્થાપન કરવામાં આવે છે ત્યારે ચૈત્ર માસની નવરાત્રી 22 માર્ચના રોજ શરુ થશે. જેને લઈને 20 માર્ચના રોજ અંબિકા માતાજીના મંદિર સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી એટલે કે આઠ કલાક ભક્તો માટે બંધ રહેશે. આ આઠ કલાક દરમિયાન મંદિરમાં ચૈત્ર નવરાત્રીને લઈને પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે.

આ અંગે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપ રાઠોડે જણાવ્યું હતું કે, ચૈત્ર નવરાત્રીની શરૂઆત પૂર્વે મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરાશે. જેને લઈને 20 માર્ચને સોમવારે સવારે મંગળા આરતી બાદ મંદિર બંધ કરવામાં આવશે. સાંજે 5 વાગ્યે પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે. આમ નવરાત્રી દરમિયાન સવારે ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે અને આઠમના દિવસે હવન કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રીનો 22મી માર્ચથી પ્રારંભ થતાં મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે આવશે. ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.