દિલ્હીઃ ઓલિમ્પિકમાં વેટલિફ્ટીંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવનારી મણિપુરની મીરાબાઈ જ્યારે ભારત આવી ત્યારે તેમનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે, વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં મળેલી નિષ્ફળતાથી મીરાબાઈ હતાશ થઈ ગઈ હતી. પરિવારજનો અને ફેડરેશનના આગેવાનોના સહયોગથી મીરાબાઈએ ફરીથી ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી હતી. તેમજ ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેમણે ઓલિમ્પિકની રીંગ સ્ટાઈલની કાનની બુટીઓ બનાવડાવી હતી. આ રિંગના કારણે જ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની પ્રેરણા મળી હોવાનું મીરાબાઈએ એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, પાંચ વર્ષ બાદ મણિપુર આવી છું. ઓલિમ્પિકમાં જીત બાદ જ્યારે પરત ભારત અને મણિપુર આવી ત્યારે લોકોની ખુશી અને પ્રેમ જોઈને મારી આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા.