Site icon Revoi.in

ડૂબી જવાના ત્રણ બનાવો, ધૂળેટી રમ્યાં બાદ નદી અને તળાવમાં નાહવા ગયેલા 11 યુવાનો ડૂબી ગયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આજે ઘૂળેટીના પર્વમાં રંગોથી રમ્યા બાદ નદી અને તળાવમાં નહાવા ગયેલા 11 યુવાનો ડુબી ગયાની ઘટના બની હતી. જેમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં નાહવા ગયેલા કિશોર વયના પાંચ મિત્રો ડુબી જતા ખૂશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. જ્યારે ખેડા જિલ્લામાં નદી અને તળાવમાં ડુબી જવાની બે ઘટના બની હતી. જેમાં વણકબોરી ડેમ મહીસાગર નદીમાં નાહવા પડેલા ચાર યુવાનો ડૂબ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી એક યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ યુવાનોનો કોઇ અતોપતો નથી. ત્રીજા બનાવમાં વસો તાલુકાના ઝરોદ ગામના તળાવમાં નાહવા પડેલા બે બાળકો ડુબીજતાં મોતને ભેટ્યા હતા. આમ ઘૂળેટીના દિને તળાવ અને નદીમાં નાહવા ગયેલા પાંચ કિશોરો, બે બાળકો અને પાચ યુવાનો ડુબી ગયા હતા

ડુબી જવાના પ્રથમ બનાવમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં આજે પાંચ મિત્રોના ડૂબી જવાથી મોત નિપજતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો ધુળેટીના પર્વ પર રંગોથી રમ્યા બાદ ત્રિવેણી નદીમાં નાહવા માટે ગયા હતા. અહીં અકસ્માતે ડૂબી જતાં પાંચે’ય મિત્રોના મોત નિપજતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.

આજે ધુળેટીનું પર્વ હોય ભાણવડના શિવનગર અને રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો રંગે રમ્યા બાદ ત્રિવેણી નદીમાં નાહવા માટે પહોંચ્યા હતા. અહીં કોઈ કારણોસર પાંચે’ય મિત્રો ડૂબી જતાં મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા હતા. નદીમાં ન્હાવા પડતી સમયે પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતા પાંચેય તરુણો ડૂબી ગયા હોવાનું અનુમાન છે. આજે ખુશીના પર્વ પર જ પાંચ જુવાનજોધ પુત્રોના ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળાં એકઠા થયા હતા.

ભાણવડની ત્રિવેણી નદીમાં ડુબી જતા પાંચ કિશોરોના મોત નિપજ્યા હતા જેમાં જીતભાઈ ભરતભાઈ કવા (ઉ.વ.16) રહે. શિવનગર, તાલુકા પંચાયત સામે, ભાણવડ

હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ (ઉ. વ 17) રહે. ખરાવાડ, ભાણવડ, ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા (ઉ.વ.16) રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ, ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા રહે. શિવનગર, ભાણવડ, હિતાર્થ અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી (ઉ.વ.16) રહે. શિવનગર, ભાણવડનો સમાવેશ થાય છે.

ડૂબી જવાના બીજા બનાવમાં કઠલાલના ચાર યુવાનો વણકબોરી ડેમ મહીસાગર નદીમાં નાહવા પડેલા ચારેય ડૂબ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી એક યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ યુવાનોનો કોઇ અતોપતો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ચાર યુવાનો કઠલાલના છે.

ડૂબી જવાનો ત્રીજો બનાવ વસો તાલુકા ઝારોલ ગામે બન્યો હતો.  આજે ધુળેટી પર્વ પર ગામના તળાવમાં નાહવા પહેલા બે બાળકો તળાવના પાણીમા ડૂબી જતા મોતને ભેટ્યા હતા. 14 અને 15 વર્ષના કિશોરો પ્રિતેશ અજીતભાઈ સોલંકી અને સાગર અજીતભાઈ સોલંકી નામના કિશોરો ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા.

Exit mobile version