Site icon Revoi.in

હળવદમાં દીકરા-દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ દીવાલ પડતા પરિવારના ત્રણ સભ્યોના મોત

Social Share

મોરબીઃ જિલ્લાના હળવદમાં આવેલા દીઘડીયા ગામમાંથી એક કરૂણ ઘટના બની છે. પ્લોટની સાફ સફાઈ દરમિયાન એક દીવાલ ધસી પડતા એક જ પરિવારના ત્રણ લોકોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ પરિવારમાં પુત્ર અને પુત્રીના લગ્નનના એક જ દિવસ પહેલાં આ કરૂણ ઘટના સર્જાતા પરિવારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ  હળવદ તાલુકાના દીઘડીયા ગામમાં રહેતા કાંજિયા પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો. આ પરિવારમાં પુત્ર અને પુત્રીના લગ્ન હતા. જેથી આ પરિવારના લોકો લગ્ન પ્રસંગની તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. આ પરિવારના હકાભાઈ કાંજિયાના પુત્ર અને પુત્રીના રવિવારે લગ્ન હતા. જેથી હકાભાઈ, તેમના ભાઈ વિપુલભાઈ અને પિતરાઈ ભાઈ મહેશભાઈ પ્લોટની સાફ સફાઈ કરી રહ્યાં હતા. બરાબર એ જ સમયે બાજુના મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. ત્યાર બાદ એક જ પરિવારના ત્રણેય સભ્યો દીવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘટના જોઈને લોકોએ બૂમાબૂમ મચાવી દીધી હતી. બાદમાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. ત્રણેય લોકોને દીવાલના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ત્રણેય લોકોને મૃત જાહેર કર્યા હતા. બાદમાં ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કરૂણ ઘટના બાદ કાંજિયા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. કાંજિયા પરિવારમાં લગ્નનો પ્રસંગ માતમાં ફેરવાયો હતો અને ગામ પણ શોકાતુર બન્યું હતું.