Site icon Revoi.in

કાર્તિકી પૂર્ણિમાના દિને આજે ડાકોરના ઠાકોરજીના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

Social Share

નડિયાદઃ કાર્તિકી પૂર્ણિમાએ ડાકોરના ઠાકોરના દર્શન કરવાનું વિશેષ મહાત્મ્ય છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તોએ રાજાધિરાજના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.. ડાકોરમાં આજે દ્વારકેશ (કાળિયા ઠાકોર)ને દ્વારિકા નગરીથી ડાકોર પધારે 866 વર્ષના વહાણા વીતી ચૂક્યા છે. આ દિવસનું ડાકોરમાં આગવું મહત્વ હોય છે. દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોએ રાજાધિરાજના ચરણે શીશ નમાવ્યું હતું.

કાર્તિકી સુદ પૂનમ એટલે દેવદિવાળી. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજની વહેલી સવારે 4:30થી નિત્યક્રમ પ્રમાણે મંગળા આરતી બાદ કપૂર આરતી કરી તિલક ચાંલ્લો કરી સવા લાખ રૂપિયાનો રત્ન જડિત મુગટ ધારણ કરાયો હતો. જેને આજથી વર્ષો પહેલાં એક ભક્ત દ્વારા ભેટ ધરવામાં આવ્યો હતો. આ મુગટની આજના સમયમાં કિંમત અંદાજવામાં આવે તો કરોડો રૂપિયાની આંકી શકાય એમ છે કૃષ્ણ ભગવાનના ભક્ત બોડાણા રાતોરાત દ્વારકાથી કૃષ્ણ ભગવાનને ગાડામાં બેસાડીને દ્વારિકાથી ડાકોર લાવ્યા હતા. તે ભક્ત દ્વારા ડાકોરના ઠાકોરને આજે 866 વર્ષના વહાણા વિતી 867ના વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ પૂનમમાં ચૌદશથી ભાવિક ભકતો તુલસીના ક્યારા અને મોટી 52 ગજની ધજાઓ તેમજ નાની ધજાઓ સાથે પાગપાળા આવતા હોય છે. ગુજરાતના ખુણે ખૂણેથી ભક્તો રાજાધિરાજના દર્શન કરવા આ દિવસે આવે છે અને ભગવાનના અલૌકિક દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.

મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે મંદિરમાં 52 ગજની 60થી વધુ ધજાઓ અને નાની ધજાઓ 320થી વધુ આવી છે. ઉપરાંત લાડુનો પ્રસાદ લગભગ દોઢ લાખ જેટલો વહેંચાયો હોવાનું જાણવા મળે છે. આમ આજે કારતક સુદ પૂનમને દેવદિવાળી નિમિત્તે ડાકોર નગર જય રણછોડના નાદ સાથે ગૂંજી ઊઠ્યું હતું. મંદિરને આજે પૂર્ણ રીતે રોશનીથી ઝગમગાટ કરવા સાથે દીપમાળને ચોખ્ખા ઘીથી બનાવેલ દીવાઓથી સજાવવામાં આવશે. આ અદ્ભુત નજારો હોય છે. ભાવિક ભક્તો તેમજ ગામ લોકો આ દીવસે આ નઝારો નિહાળવા ઉમટી પડે છે. (file photo)