Site icon Revoi.in

ગુજરાતમાં સોમવારથી તુવેર, ચણા, અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે, 437 કેન્દ્રો નક્કી કરાયા

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં  ખેડૂતોને તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. અને ઈ-પોર્ટલ પર ઓનલાઈન નોંધણી પણ કરવામાં આવી હતી.  જેના ભાગરૂપે તુવેર, ચણા અને રાયડાની આગામી તા. 18મી માર્ચને સોમવારથી ટેકાના ભાવે ખરીદીનો 437 કેન્દ્રો પરથી પ્રારંભ કરાશે, જે 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ચાલુ રહેશે. જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 1734 કરોડની કિંમતની 2,45,710 મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. 1765 કરોડની કિંમતના 3,24,530 મે. ટન ચણા અને રૂ. 853 કરોડની કિંમતના 1,50,905 મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે 140 ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે.

કૃષિમંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. 7000 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1400 પ્રતિ મણ), ચણા માટે રૂ. 5440 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1088 પ્રતિ મણ) અને રાયડા માટે રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1130 પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.