Site icon Revoi.in

દ્વારકામાં 23મી ડિસેમ્બરથી બે દિવસ આહિર સમાજની મહિલાઓ દ્વારા મહારાસ યોજાશે,

Social Share

જામખંભાળિયાઃ  અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા યાત્રાધામ દ્વારકામાં આગામી તા. 23, અને 24 ડિસેમ્બરના રોજ રાસનું આયોજન કરાયું છે. જેને માત્ર પાંચ દિવસનો સમય બાકી હોવા અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં આહિર સમાજની બહેનો હજારોની સંખ્યામાં જોડાશે.

દ્વારકા ખાતે 23મી ડિસેમ્બરથી યોજાનારા આહિર સમાજની બહેનોના મહારાસમાં શ્રીકૃષ્ણના યાદવ કુળના 37 હજાર આહિરાણીઓ ભાગ લેશે. અને ગરબો રચી રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેમનો અહોભાવ અર્પણ કરશે. અખિલ ભારતીય યાદવ સમાજ આયોજિત અને આહિરાણી મહિલા મંડળના ઉપક્રમે દ્વારકામાં એસીસી કકુંના વિશાળ પટાંગણમાં યોજાનારા મહારાસમાં જોડાવવા વિશ્વભરમાંથી 37 હજાર જેટલા આહિરાણીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આહીર સમાજના અગ્રણી વ્યવસ્થાપકો ભગાભાઈ બારડ, મુળુભાઈ કંડોરીયા, પ્રવિણભાઈ માડમ, પરબતભાઈ લગારીયા દ્વારા આ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ ઐતિહાસિક આયોજનમાં વિશ્વભરના આશરે દોઢ લાખ જેટલા આહિર યાદવો જોડાશે. મહોત્સવમાં ભાગ લેવા આવનારા લોકો માટે રહેવા, ભોજન તેમજ પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ મેગા ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ 37 હજાર આહિરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિરૂપે ગીતાજીનું પુસ્તકની ભેટ આપાવામાં આવશે. શ્રીકૃષ્ણના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ સંગ રાસ રમવાની આહિરાણીઓની આંતર્ભાવના સાથે આ રાસને મહારાસ નામ અપાયું છે. આહિરાણીઓ દ્વારા મેદાનમાં શ્રીફળ વધેરી મેદાનની સાફ સફાઈ તથા સમિયાણા બાંધવા સાથે તમામ પ્રકારની સુવિધાઓને અગ્રણીઓના માર્ગદર્શનમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ રાસોત્સવમાં ગામપરગામ રહેતા આહિર સમાજની બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડશે.