દહેગામઃ રાજ્ય અને રાષ્ટ્રીય ઘોરી માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. દહેગામ નજીક બહીયલ-કનીપુર રોડ ઉપર આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામેથી બાઇકને ટક્કર મારતાં બે શ્રમિકોના કરૂણ મોત નિપજતાં દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, બહીયલ-કનીપુર રોડ ઉપર આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામેથી બાઇકને ટક્કર મારતાં બાઈકસવાર બે શ્રમિકો મહેશ અને યોગેશ રોડ પર પટકાયા હતા. જેમાં મહેશનું સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે યોગેશને ઈજાગ્રસ્ત હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેના પિતા જીવણભાઈ લઈ ગયા હતા. જો કે સિવિલ હોસ્પિટલમાં યોગેશનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું
આ અકસ્માતમાં બળદેવ દંતાણીએ એવી ફરિયાદ નોંધાવી છે કે, હું બહીયલ ગામે રહું છું. બપોરના બાર વાગ્યાના અરસામાં ઘરે હાજર હતો. ત્યારે તેમના કુટુંબીભાઈ સુનીલ દંતાણીએ તેમને જણાવ્યું હતું કે તેઓ બહીયલ ગામની સીમમાં કનીપુર રોડ પર આવેલા મરઘા ફાર્મમાં મજૂરી કરે છે. જ્યાં રોડ ઉપર બળદેવભાઇના કાકાનો દીકરો મહેશ ચેલાભાઈ દંતાણી અને યોગેશભાઈ જીવણભાઈ દંતાણી કનીપુરથી બહીયલ બાઈક ઉપર આવી રહ્યા હતા.ત્યારે એક આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામેથી બાઇકને ટક્કર મારી હતી. જેનાં કારણે મહેશ અને યોગેશ ઉછળીને રોડ પર પટકાયા હતા. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી મહેશનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે યોગેશને ઈજાગ્રસ્ત હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેના પિતા જીવણભાઈ લઈ ગયા હતા. જો કે સિવિલ હોસ્પિટલમાં યોગેશનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.