Site icon Revoi.in

દાંતાના મંડાલી નજીક ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર બે યુવાનોના મોત

Social Share

પાલનપુરઃ જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી નજીક હનુમાનજી મંદિર ત્રણ રસ્તા પર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં દાંતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધાને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, દાંતા તાલુકાના મંડાલી ગામ નજીક  હનુમાનજી મંદિર પાસે ત્રણ રસ્તા પર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  ટ્રેક્ટર મંડાલીથી ખેરોજ તરફ જઈ રહ્યું હતું. જ્યારે બાઇકચાલક ડબલ સવારીમાં ખેરોજ તરફથી આવી રહ્યા હતા, ત્યારે  ત્રણ રસ્તા પર ટ્રેક્ટર અને બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર બન્ને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. આ ઘટનાની જાણ દાંતા પોલીસ સ્ટેશનને કરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્ને વ્યક્તિઓ દાંતા તાલુકાના તોરણીયા ગામનાં આદિવાસી યુવાનો હોવાનું જાણવા મળ્યુ છે. હનુમાનજી મંદિર પાસે ત્રણ રસ્તા પડતા હોવાથી વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્રણ રસ્તા પડતાં હોવાથી સામેથી આવી રહેલો વાહન પુરઝડપે આવતા હોય છે. જેથી તેના કારણે અકસ્માત સર્જાતા હોય છે. જેથી અકસ્માત નિવારવા માટે આ ત્રણ રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો સામેથી આવતા વાહનો ધીમે પડે અને અકસ્માત સર્જવાની શક્યતાઓ પર બ્રેક લાગી શકે તેવું લોકો કહી રહ્યા છે.

અકસ્માતના અન્ય એક બનાવમાં રજોસણ ગામના ટ્રકચાલક સુરેશજી ગમનજી ઠાકોરનું મહારાષ્ટ્રમાં મોત નિપજ્યુ હતુ.વડગામ તાલુકાના રજોસણના યુવક ટ્રક લઈને મહારાષ્ટ્ર ગયો હતો.  જ્યાં મનોહર નજીક ટાયર પંકચર થતાં નીચે ઉતરી ટાયર બદલાવી રહ્યો હતો. ત્યારે અન્ય વાહન ચાલકે ટક્કર મારી હતી. જેમાં સુરેશજીને ગંભીર ઇજા થતાં મોત થયું હતુ. જેમના મૃતદેહને વતનમાં લાવી અંતિમક્રિયા કરવામાં આવી હતી.