Site icon Revoi.in

કેન્દ્ર સરકારની મહારાષ્ટ્ર માટે 2 લાખ કરોડથી વધુની કિંમતના 225 પ્રોજેક્ટને મંજૂરીઃ PM મોદી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​મહારાષ્ટ્ર સરકારના રોજગાર મેળાને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. પીએમએ ધનતેરસ પર કેન્દ્રીય સ્તરે રોજગાર મેળાની કલ્પના શરૂ કરી હતી. કેન્દ્ર સરકારના સ્તરે 10 લાખ નોકરીઓ આપવાના અભિયાનની આ શરૂઆત હતી. ત્યારથી, તેમણે ગુજરાત અને J&K સરકારોના રોજગાર મેળાઓને સંબોધન કર્યું હતું. “આટલા ઓછા સમયમાં રોજગાર મેળાના સંગઠનથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્ર સરકાર યુવાનોને રોજગાર આપવા માટે મજબૂત સંકલ્પ સાથે આગળ વધી રહી છે. મને એ વાતનો પણ આનંદ છે કે આગામી સમયમાં મહારાષ્ટ્રમાં આવા રોજગાર મેળાઓનું વધુ વિસ્તરણ કરવામાં આવશે”, એમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. મહારાષ્ટ્રના ગૃહ વિભાગ અને રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગમાં હજારો નિમણૂકો થશે.

વડાપ્રધાને પુનરોચ્ચાર કર્યો હતો કે અમૃત કાળમાં દેશ વિકસિત ભારતના લક્ષ્ય પર કામ કરી રહ્યો છે જ્યાં યુવાનો મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે “બદલાતા સમયમાં નોકરીઓની પ્રકૃતિ ઝડપથી બદલાઈ રહી છે, સરકાર પણ સતત વિવિધ પ્રકારની નોકરીઓ માટે તકો ઊભી કરી રહી છે.” તેમણે કહ્યું કે મુદ્રા યોજના યુવાનોને કોલેટરલ ફ્રી લોન આપી રહી છે અને 20 લાખ કરોડની લોન પહેલાથી જ વિતરિત કરવામાં આવી છે. તેવી જ રીતે, સ્ટાર્ટ-અપ અને MSME સેક્ટરને મોટા પાયે ટેકો આપવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના યુવાનોને આનો લાભ મળ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “સરકારના પ્રયાસોની સૌથી મહત્વની બાબત એ છે કે રોજગાર અને સ્વ-રોજગાર માટેની આ તકો દલિત-પછાત, આદિવાસી, સામાન્ય વર્ગ અને મહિલાઓ માટે સમાનરૂપે ઉપલબ્ધ થઈ રહી છે.” તેમણે સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી 8 કરોડ મહિલાઓને 5 લાખ કરોડ રૂપિયાની સહાયનો ઉલ્લેખ કર્યો.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આજે, સરકાર સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં જે રેકોર્ડ રોકાણ કરી રહી છે તે રોજગારીની નવી તકો ઊભી કરી રહી છે.” મહારાષ્ટ્રના સંદર્ભમાં, પીએમએ માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે રાજ્ય માટે 2 લાખ કરોડથી વધુની કિંમતના લગભગ 225 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. 75 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટ્સ અને આધુનિક રસ્તાઓ માટેના 50 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. “આ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે અથવા કામ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાનું છે”, એમ તેમણે કહ્યું હતું. તેમણે તારણ કાઢ્યું હતું કે “જ્યારે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આટલી મોટી રકમ ખર્ચાય છે, ત્યારે તેના કારણે લાખો નવી રોજગારીની તકો ઊભી થાય છે.”