Site icon Revoi.in

અઝાન માટે મસ્જિદમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો મૌલિક અધિકાર નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

Social Share

લખનૌઃ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ધાર્મિસ સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે લાઉડસ્પીકર મુદ્દે મહત્વ પૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો મૌલિક અધિકાર નથી. હાઈકોર્ટે પોતાનો નિર્ણય આપતાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે બદાઉનમાં નૂરી મસ્જિદની અરજી ફગાવી દીધી હતી.

કેસની હકીકત અનુસાર, હાઈકોર્ટે અઝાન માટે લાઉડસ્પીકરની પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ અરજી બદાઉનના બિસૌલી તહસીલના બહાવાનપુર ગામની નૂરી મસ્જિદના મુતવલ્લી ઈરફાન વતી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં એસડીએમ સહિત ત્રણ લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. SDM દ્વારા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી અરજીને પડકારવામાં આવી હતી.

અરજીમાં હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી મૂળભૂત અધિકાર હેઠળ હોવી જોઈએ. હાઈકોર્ટના જસ્ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્ટિસ વિકાસની ડિવિઝન બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અરજીને ફગાવી દીધી અને કહ્યું કે, અઝાન માટે મસ્જિદમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૂળભૂત અધિકાર હેઠળ આવતો નથી. લાઉડસ્પીકરને મંજૂરી આપવા માટે અન્ય કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી. કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે કોર્ટે અરજીમાં કરાયેલી માંગને અયોગ્ય ગણાવી અરજી ફગાવી દીધી હતી.

મહારાષ્ટ્ર નવ-નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી. આ અંગે MNS ચીફે ધમકી આપી હતી કે જ્યાં સુધી લાઉડસ્પીકર દ્વારા અજાન આપવામાં આવશે ત્યાં સુધી હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેમણે આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી હતી.