Site icon Revoi.in

વઢવાણમાં પાંચ મહિનાથી ચાલતા એસટી બસ સ્ટેશનના મરામતની કામગીરી ક્યારે પુરી થશે ?

Social Share

સુરેન્દ્રનગરઃ વઢવાણ શહેરના બસ સ્ટેશનની કેટલીક દીવાલોનો ભાગ જર્જરિત થતા તેના રિપેરિગનું કામ ચાલુ કરાયું હતું. મરામતનું કામ શરૂ થયાને પાંચ મહિનાનો સમય વિતી ગયો હોવા છતાંયે કામ પૂરૂ કરાયું નથી. તેથી મુસાફરોને સ્ટેશનમાં બેસવાની સાથે પીવાના પાણી સહિતની મુશ્કેલીઓ પડતી હોવાની બુમરાણો ઉઠી છે. મરામતનું કામ ક્યારે પુરૂ થશે તેનો અધિકારીઓ પણ જવાબ આપી શકતા નથી.

વઢવાણ તાલુકાના 45થી વધુ ગામડાંની પ્રજા મુસાફરી માટે વઢવાણ ધોળીપોળમાં આવેલા એસટી કંટ્રોલ પોઈન્ટ બસ સ્ટેશનમાં આવે છે. કોઠારિયા, દેદાદરા, બાળા, મૂળચંદ, રાજપર, ખોલડીયા, રામપરા સહિત નજીકના ગામડાંઓના તેમજ શહેરીજનો મુસાફરી માટે આ બસ સ્ટેશનમાં આવે છે. પરંતુ બસ સ્ટેશનની કેટલીક દીવાલોનો ભાગ જર્જરિત અને ઉપરથી પોપડાઓ સહિતની સમસ્યાઓથી અહીં આવતા મુસાફરો અને કર્મચારીઓને અકસ્માતનો ભય રહેતો હતો. ત્યારે આ બાબતે એસટી તંત્ર દ્વારા બસ સ્ટેશનના રિપેરિંગની કામગીરી જાન્યુઆરી-2023થી હાથ ધરાઇ હતી. પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ ન થતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.

વઢવાણ આવતા પ્રવાસીઓ એવો બળાપો વ્યક્ત કરી રહ્યા છે. કે,  વઢવાણના એસટી બસ સ્ટેશનમાં પ્રવાસીઓને  બેસવાની, પીવાના પાણી સહિતની સુવિધા નથી. આથી તડકામાં લોકોને ઊભા રહેવું પડે છે અને પૈસા ખર્ચીને પાણી પીવું પડે છે. એસટી બસ સ્ટેશનમાં હજુ પણ કલર કામ સહિતનું કામ બાકી છે. ત્યારે કામ ઝડપથી થાય તો પ્રવાસીઓની મુશ્કેલી દૂર થાય તેમ છે.  આ અંગે સુરેન્દ્રનગર એસટી ડેપો મેનેજર ઇન્દ્રવદન નાયીના કહેવા મુજબ વઢવાણ બસ સ્ટેશનનું કામ અંદાજે આગામી 20 દિવસોમાં પૂર્ણ થઇ જશે. એવું લાગે છે.