Site icon Revoi.in

રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલનું કામ ક્યારે પૂર્ણ થશે ? હાલ કામચલાઉ ટર્મિનલથી થતું સંચાલન

Social Share

રાજકોટઃ શહેરના હીરાસર ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરાયા બાદ વિદેશી વિમાની સેવાનો હજુ લાભ મળ્યો નથી. કારણ કે, હાલ કામ ચલાઉ ટર્મિનલથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ લોકાર્પણ કરાયાને મહિનાઓ વિતી ગયા છતાં હજુ સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થયું નથી અને એક પછી એક મુદત પડી રહી છે. ટર્મીનલનું બાંધકામ હવે લોકસભા ચૂંટણી પછી જ પૂર્ણ થઇ શકે તેમ છે.

રાજકોટ શહેરની ભાગોળે હિરાસર એરપોર્ટ કાર્યરત કરી દેવામાં આવ્યું હોવા છતાં હાલ કામ ચલાઉ ટર્મીનલ પરથી સંચાલન થાય છે. સ્થાયી ટર્મીનલનું નિર્માણ 31 માર્ચે પૂર્ણ થવાનો ટારગેટ હતો. પરંતુ તે શક્ય બન્યું નથી. હવે ચૂંટણી પછી જ તે શક્ય બને તેમ છે અને એટલે નવી ડોમેસ્ટીક તથા ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવામાં વિલંબ થઇ શકે છે. હિરાસરનું 1225 હેક્ટરમાં પથરાયેલું ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ જુલાઇ-2023માં ખુલ્લું મુકાયું હતું અને 10મી સપ્ટેમ્બરથી કામચલાઉ ટર્મીનલ મારફત ફ્લાઇટ ઓપરેશન શરુ કરી દેવાયું હતું. આ કામ ચલાઉ ટર્મીનલમાં પ્રવાસીઓથી સંચાન ક્ષમતા જુના એરપોર્ટ જેટલી જ છે. હાલ એરપોર્ટથી દૈનિક 12 ફ્લાઇટનું સંચાલન થાય છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, હીરાસર એરપોર્ટનું સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થવામાં ઢીલ નિરાશાજનક છે. હાલત એવી છે કે નવી સુવિધા કે નવી ફ્લાઇટ મળતી નથી. લોકસભા ચૂંટણી પૂર્વે નિર્માણ પૂર્ણ થવાની તથા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરુ થઇ જવાની ગણતરી હતી પરંતુ તે પણ વાસ્તવિક બની નથી. હાલ હિારસર એરપોર્ટથી ડોમેસ્ટીક ફ્લાઇટ ઉડાન ભરે જ છે. પરંતુ જ્યાં પહોંચવામાં સમય અને ખર્ચ સામે લોકોમાં કચવાટ છે. શહેરથી 30 કિ.મી. દુર સ્થિત એરપોર્ટ પર પહોંચવામાં ખોટો ખર્ચ થાય છે અને ટ્રાફિક જેવા અવરોધો વખતે કલાક જેવો સમય લાગે છે. આ ઉપરાંત ફ્લાઇટના ઉડાન સમયના 75 મીનીટ અગાઉ ચેકઇન કાઉન્ટર બંધ કરી દેવામાં આવે છે. વાસ્તવમાં નિયમ 45 મીનીટનો છે છતાં સવા કલાક વ્હેલું તે બંધ કરાતું હોવાથી પ્રવાસીઓનો સમય પણ બગડે છે.