Site icon Revoi.in

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા: 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા જોડાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથ રથયાત્રાને ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન નિજ મંદિરેથી પરત ફર્યા બાદ ત્રણ દિવસ ઉત્સવ દરમિયાન ભગવાનને પહેરાવવામાં આવતા વાઘા, સોનાના દાગીના અને શણગાર શુક્રવારે વાજતે ગાજતે ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, ત્રણ બેન્ડવાજા જોડાશે. તેમજ બે લાખ ઉપરણાં પ્રસાદમાં અપાશે. રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જગન્નાથજીના મંદિરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શહેરમાં સમગ્ર રથયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અષાઢીબીજના દિને સવારે સાત વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થશે. નવ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, 9.45 વાગ્યે રાયપુર ચકલા, 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા, 11.15 વાગ્યે કાલુપુર સર્કલ, 12 વાગ્યે સરસપુર, બપોરે મોસાળમાં વિરામ, 1.30 વાગ્યે સરસપુરથી પરત, બે વાગ્યે કાલુપુર સર્કલ, 2.30 વાગ્યે પ્રેમ દરવાજા, 3.15 વાગ્યે દિલ્હી ચકલા, 3.45 વાગ્યે શાહપુર દરવાજા, 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ, પાંચ વાગ્યે ઘી કાંટા, 5.45 વાગ્યે પાનકોર નાકા, 6.30 વાગ્યે માણેકચોક, 8.30 વાગ્યે નિજ મંદિર પરત ફરશે. રથયાત્રાને પગલે મંદિરમાં અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પેરા મિલિટરી ફોર્સની એક ટુકડીને મંદિરમાં જ તહેનાત કરવામાં આવી છે.

જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે ભગવાન હાલ સરસપુર મોસાળમાં છે. 18 જૂનના રોજ રવિવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નિજ મંદિરે પરત ફરશે. બાદમાં નેત્ર વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી યોજાશે.(file photo)