Site icon Revoi.in

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના 15 ગામોને 10 દિવસથી નર્મદાનું પાણી મળતું નથી તંત્રની નિષ્કિયતા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં અનેક ગામડાઓમાં પીવાના પાણી વિકટ સમસ્યા ઊભી થઈ હતી. અને ઘણાબધા ગામડાં હજુ પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં પાણી પુરવઠા વિભાગની નિષ્ક્રિયતાને કારણે જ છતાં પાણીએ લોકોને હાડમારી ભોગવવાનો વારો આવી રહ્યો છે. રણના કાંઠા વિસ્તારના ગામોમાં તો ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે પાટડી. ધ્રાંગધ્રા, સાયલા સહિતના તાલુકાના  કેટલાક ગામોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે જેમાં મુળી તાલુકાના 15 જેટલા ગામડાંમાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે છેલ્લા 10 દિવસથી નર્મદાનું પાણી આવતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના મૂળી તાલુકામાં અનેક ગામો આજે પણ પાયાની સુવિધાઓ ઝંખી રહ્યા છે.જેમાં પીવાનાં પાણીની સમસ્યા મહત્વની છે. જ્યારે નર્મદા વિભાગ દ્વારા ગામડે ગામડે નર્મદાનું પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હોવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઇક અલગ જ હોવાનું ધ્યાને આવ્યું છે.જેમાં તાજેતરમાં મૂળીનાં છેવાડાના 15 જેટલા ગામોમાં નર્મદાનું પાણી મળી રહે તે માટે અંદાજે 30 કરોડનાં ખર્ચે વિવિધ કામગીરી કરાઈ હતી. પરંતુ આ કામગીરી જાણે દેખાવ માટે અને વાહ વાહી માટે જ હોય તેમ લાગી રહ્યું છે. કારણકે છેલ્લા 10 દિવસથી મૂળી તાલુકાનાં સરા, લિયા,રાયસંગપર, વેલાળા,મહાદેવગઢ, કરશનગઢ સહિતના 15થી વધારે ગામોમાં 10 દિવસથી નર્મદાનું પાણી મળતું ન હોવાથી 20 હજારથી વધુ લોકોને ક્ષારયુકત અને ગંદુ પાણી પીવું પડી રહ્યું છે. પાણી માટે અસહ્ય તાપમાનમાં રઝળપાટ કરવો પડે છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી મૂળીનાં ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

Exit mobile version