Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના હિસાબ-કિતાબ તપાસવા 351 ટીમો તૈનાત

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. બે તબક્કે યોજાનારી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ રોકવા માટે ચૂંટણી પંચના આદેશથી રાજ્યભરની તમામ ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન તમામ ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અને ઉમેદવારોનો ચૂંટણીનો હિસાબ-કિતાબ તપાસવા માટે 351 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે. ટીમો દ્વારા રોજબરોજનો ખર્ચ તપાસવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વિભાગે નિમેલા ખર્ચ નિરીક્ષકે જુદી જુદી વિધાનસભાના મદદનીશ ખર્ચ નિરીક્ષકને ટ્રેનિંગ આપી આચારસંહિતાનું પાલન કરવા સૂચના આપી હતી. જેમાં ચૂંટણી દરમિયાન ઉમેદવાર નિયત ખર્ચ કરતાં વધુ કે ઓછો ખર્ચ કરે તો કોઇપણ વ્યક્તિ ટોલફ્રી નં.18002332367 પર ફોનથી ફરિયાદ કરી શકશે. ચૂંટણી પંચે એફએસટી, એસએસટી, વીએસટી, વિવિટી અને એકાઉન્ટિંગની ટીમ મળી કુલ 351 ટીમો બનાવી છે, જે મદદનીશ ખર્ચ નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આચારસંહિતા અને ચૂંટણીલક્ષી ખર્ચની ફરિયાદ કરવા માટે ટોલફ્રી નંબર પર ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રહેશે. એલિસબ્રિજ, ઠક્કરબાપાનગર, બાપુનગર, જમાલપુર-ખાડિયાના ખર્ચ ઓર્બ્ઝરવર અનુરાગ દારિયા અને સુરેશ કટારિયાએ સાબરમતી, અસારવા, ધોળકા અને ધંધુકા બેઠક માટે કરેલી સમીક્ષા બેઠકમાં મદદનીશ ખર્ચ નિરીક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી વિભાગ ફરિયાદ વગર સભા અને રેલીમાં થતાં ખર્ચ બાબતે વિસંગતતા હોય તો પણ કાર્યવાહી થઇ શકશે.